આજથી બે દિવસ તપશે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની અસર રહેશે

670

રાજ્યમાં ઉત્તર પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનને લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. આજથી થી ૨૮ એપ્રિલ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની અસર રહેશે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતમાં ગરમ પવનો ફૂંકાશે. અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. આજે અમદાવાદ ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચવાની હવામાન ખાતાએ આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક એડવાઇઝરી પણ જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાત્રીના ૧૧ વાગ્યા સુધી હવે બાગ બગીચાઓ ખુલ્લા રહેશે. એસટી ડેપો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત બીઆરટીએસના સ્ટેન્ડ પર ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવશે. નોંધનીય છે કે, ૧૦૨ લોકોને ગરમીની અસર થઇ હતી. જેમાં ૨૪ લોકો બેભાન થઇ ગયા હતા.તો બીજી બાજુ હવામાન ખાતાની ઓરેન્જ અને રેડ એલર્ટની આગાહી બાદ અ.મ્યુ.કો. સંચાલિત શાળાઓના સમય ફેરફાર કરવામાં આવ્યો છે. ૫ મે સુધી ધોરણ ૧થી ૮નો સમય સવારે ૭થી ૧૧ કરવામાં આવ્યો છે. ત્યારે બાળકોને ૧૦ઃ૩૦ કલાકે મધ્યાહન ભોજન આપવાનું રહેશે. કોર્પોરેશનની ૩૮૨ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, ગરમીમાં તમામ લોકોએ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ માત્રામાં પાણી પીવું.

ઓઆરએસ, લીંબુ પાણી, લસ્સી, છાશ, વરિયાળી શરબત વગેરેનું સતત સેવન કરવું. આછા રંગના, હળવા સુતરાઉ કપડા પહેરવા. બહાર નીકળતા સમયે ટોપી, છત્રી, સ્કાર્ફ, ગોગલ્સનો ઉપયોગ કરવો. તેમજ ફિલ્ડમાં ફરનારા લોકોએ સમયાંતરે છાયડામાં આરામ કરી લેવો. બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી તડકામાં ન નીકળવું. રસોઈ કરતા સમયે બારી દરવાજા ખુલ્લા રાખવા. ખાવામાં ચા-કોફી કે અન્ય ગરમ પીણાં, તથા વાસી અને તળેલા ખોરાકનો ઉપયોગ ઓછો કરવો. કોઈ ખેંચ કે સ્ટ્રોકની બીમારી ના હોવા છતાં બેભાન થઇ જવું, બદલાયેલી માનસિક સ્થિતિ વગેર થવાની શક્યતા છે.

 

Previous articleમુંબઇથી લકઝરીમાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો
Next articleકાર્બાઇડ કેરી બાબતે સરકાર અને કોર્પોરેશન પોતાની ફરજ નિભાવતા નથી : હાઈકોર્ટ