અક્ષય તૃતિયા જિલ્લાના વાહનોની ધૂમ ખરીદી થતાં એક દિવસમાં ટુ, ફોર અને થ્રી વ્હિલરના ૨૦૦ જેટલા વાહનોનું વેચાણ થયું છે. વર્તમાનમાં ગાડીનો ક્રેઝ લોકોમાં વિશેષ હોવાથી ટુ અને થ્રી વ્હિલરની સરખામણીએ ફોર વ્હિલરનું વેચાણ અંદાજે ૧૧૦ ગાડીઓનું વેચાણ થયું છે. ગ્રાહકોએ સૌથી વધુ રૂપિયા ૩.૫૦ લાખથી રૂપિયા ૯ લાખ સુધીની ગાડીઓની ખરીદી કરી છે. જ્યારે ટુ વ્હિલરમાં અપેક્ષા કરતા ઓછી ખરીદી હતી.
અષાઢ સુદ ત્રીજનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. અખાત્રીજના દિવસે ખેડુતો ચોમાસુ વાવેતરની તૈયારી કરતા હોય છે. અખાત્રીજને વણજોયું મુહુર્ત કહેવાતું હોવાથી આ દિવસે શુભ કાર્યો કરવામાં આવે છે. અખાત્રીજ નિમિત્તે વાહનો અને સોના ચાંદીના ખરીદી નિકળતા વેપારીઓને મંદીના માહોલમાં તેજીના આસાર જોવા મળ્યા હતા. અખાત્રીજના દિવસે લોકો વાહનની તેમજ સોના ચાંદીના ઘરેણાંની ખરીદી કરતા હોવાથી વેપારીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અખાત્રીજ નિમિત્તે જિલ્લાવાસીઓએ રૂપિયા ૩.૫૦ લાખથી રૂપિયા ૯ લાખ કિંમતની અંદાજે ૧૧૦ જેટલી ગાડીઓની ખરીદી કરી હતી. અખાત્રીજ નિમિત્તે ગાડીઓની ખરીદી કરનારમાંથી ૯૦ ટકા ગ્રાહકોએ લોનનો સહારો લીધો હતો. અખાત્રીજે ગાડી ઘરે લાવવા માટે ગ્રાહકોએ અગાઉથી જ જરૂરી પેપરની કાર્યવાહી કરીને નોંધણી કરાવી દીધી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતુ. જ્યારે અંદાજે ૮૦ ટુ વ્હિલરનું વેચાણ થયું હતું.
સીએનજી કારમાં ટુ વ્હિલર જેટલી જ એવરેજ આવતાં લોકોમાં કાર ખરીદવાનો ક્રેઝ વધ્યો છે. ઉપરાંત ત્રણેય ઋતુમાં બહાર જવામાં તકલીફ પડે નહી તેથી ગ્રાહકોએ ગાડીઓની ખરીદી વધારે કરી હતી.
અખાત્રીજની સાથે સાથે આગામી લગ્ન પ્રસંગ માટે આજે સોના ચાંદીના ઘરેણાંની ખરીદી કરતા તેમજ ઓર્ડર આપતા હોય છે. જેને પરિણામે જિલ્લામાંથી અંદાજે બે કરોડના સોના ચાંદીના ઘરેણાંની ખરીદી ગ્રાહકોએ કરી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.