અયોધ્યા ગૂંચ : મધ્યસ્થતા પેનલને ૧૫મી ઓગસ્ટ સુધી મહેતલ મળી

446

સુપ્રિમ કોર્ટે અયોધ્યા વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થતા પેનલને ૧૫મી ઓગસ્ટ સુધીની મહેતલ આપી દીધી છે.

સુપ્રિમ કોર્ટમાં ટુંકા ગાળામાં સુનાવણી થઈ હતી. બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ મામલાને મધ્યસ્થતા માટે મોકલવાના બે મહિના બાદ સુપ્રિમ કોર્ટે આજે રાજકીય રીતે સંવેદનશીલ આ મામલામાં સુનાવણી કરી હતી. ત્રણ મિનિટના ગાળામાં સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવી હતી. રામ મંદિર મામલામાં મધ્યસ્થી કમિટીએ સુપ્રિમ કોર્ટ પાસેથી ૧૫મી ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો. સુપ્રિમ કોર્ટે આના માટે પણ તૈયારી બતાવી હતી.  બાબરી મસ્જિદ મામલામાં સુનાવણીને લઈને તમામ લોકોની નજર આજે કેન્દ્રિત થઈ ગઈ હતી. જોકે સુપ્રિમ કોર્ટે મિનિટોના ગાળામાં જ સુનાવણી પૂર્ણ કરી લીધી હતી. આ મામલાની સુનાવણી સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટીસ એસએ બોબડે, જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ અબ્દુલ નઝીરની બેચ દ્વારા હાથ ધરાઈ હતી.

પાંચ જજની બંધારણીય બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પેનલની એવી માંગને સ્વીકારી લીધી હતી કે તેમને ઓછામાં ઓછો ત્રણ મહિનાનો સમય આપવામાં આવે. જોકે કેટલાક હિન્દુ પક્ષકારોએ આ પ્રક્રિયા પર વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે મુસ્લિમ પક્ષકારોએ આની સામે તરફેણની વાત કરી હતી. સુનાવણી દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું હતું કે અમને મધ્યસ્થતા કમિટી તરફથી અહેવાલ મળી ગયો છે.

અહેવાલને અમે વાંચી ચુક્યા છીએ. હાલમાં જ સમજૂતિની પ્રક્રિયા ચાલી રહી છે. જસ્ટીસ (નિવૃત્ત) કલીકુલ્લાના અહેવાલ ઉપર વિચારણા જારી છે. રિપોર્ટમાં રચનાત્મક વિકાસની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે.

મધ્યસ્થતા પેનલ દ્વારા વધારે સમય માંગવાનો વિરોધ કરી રહેલા પક્ષોના તર્કને ફગાવી દઈને કોર્ટે કહ્યું હતું કે જો મધ્યસ્થી પરિણામ પ્રત્યે આશાવાદી છે તો ૧૫મી ઓગસ્ટનો સમય આપવામાં વાંધો નથી કારણ કે આ મામલો વર્ષોથી પેન્ડીંગ રહેલો છે. કોર્ટે મધ્યસ્થતા પ્રયાસોની માહિતીનો ખુલાસો કરવા સાથે સંબંધિત પક્ષોના વકીલોની માંગને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આની માહિતી આપી શકાય નહીં. દશકોથી અટવાયેલા અયોધ્યા જમીન વિવાદ કેસને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો આઠમી માર્ચે આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે આના માટે ત્રણ સભ્યોની પેનલની રચના પણ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત જજ જસ્ટીસ કલીફુલ્લા, ઉપરાંત આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુનો સમાવેશ થાય છે. આ પેનલની રચના કરવામાં આવ્યા બાદ હવે સમગ્ર પ્રક્રિયાને ઝડપથી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. જો કે વિવાદનો ઉકેલ આવવામાં હજુ ખુબ સમય લાગી શકે છે. અગાઉની સુનાવણી વેળા ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યુ હતુ કે કોર્ટની બાજ નજર હેઠળ મધ્યસ્થીની કાર્યવાહી બિલકુલ ગુપ્ત રાખવામાં આવશે. મિડિયાને મંજુરી આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યુ હતુ કે મધ્યસ્થીની પ્રક્રિયા ઓન ેમેરા આયોજિત કરવામાં આવે તે જરૂરી છે. મધ્યસ્થતાની પ્રક્રિયા ફૈજાબાદમાં હાથ ધરવામાં આવનાર છે. આનુ નેતૃત્વ જસ્ટીસ (નિવૃત) એફએમ કલીફુલ્લાહ કરનાર છે. જેમાં શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ પણ સામેલ કરવામાં આવ્યા  હતા.  સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તમામ લોકોમાં આને લઇને ચર્ચા જોવા મળી રહી છે.

મિડિયામાં મધ્યસ્થીની પ્રક્રિયાના રિપોર્ટિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મધ્યસ્થીના અગાઉ ચાર પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે. જે તમામ ફ્લોપ રહ્યા છે. સૌથી પ્રથમ વખત પ્રયાસ વર્ષ ૧૯૯૦માં કરવામાં આવ્યો હતો. એ વખતે વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જો કે આ વાતચીત ભાંગી પડી હતી. બીજો વાતચીતનો પ્રયાસ વર્ષ ૨૦૦૩માં કરવામાં આવ્યો હતો. એ વખતે પણ મંત્રણા ફ્લોપ રહી હતી.

Previous articleસમાન કામ, સમાન વેતન મુદ્દે શિક્ષકોને મોટો ફટકો
Next articleખેડૂતોની મોટી જીતઃ પેપ્સીએ ખેડૂતો સામે કરેલા તમામ કેસો પાછા ખેંચ્યા