શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં ફરી એકવાર નિરાશા જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૮૭ પોઇન્ટ ઘટીને ૩૮૭૩૬ની નીચી સપાટીએ રહ્યો હતો. યશ બેંક, તાતા સ્ટીલ, સનફાર્મા, વેદાંતાના શેરમાં તેજી જોવા મળી હતી જ્યારે ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, એલએન્ડટીના શેરમાં કારોબારના અંતે મંદી જોવા મળી હતી. બ્રોડર નિફ્ટીમાં પણ મંદી રહી હતી. ઇન્ડેક્સ ૩૦ પોઇન્ટ ઘટીને ૧૧૫૫૨ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૫૫૪ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૨ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૭૭૬ રહી હતી. બેંકિંગ, ફાઈનાન્સિલ સર્વિસ અને એફએમજીસીના કાઉન્ટરો ઉપર ભારે દબાણની સ્થિતિ રહી હતી. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૩૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ૦.૨૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. નફો મેળવનાર નિફ્ટી મેટલમાં ફાર્મા, મેટલ, રિયાલીટી કાઉન્ટરોમાં ૦.૪ ટકાથી લઇને ૦.૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. કેપીઆરના શેરમાં છ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. ટેક્સટાઇલ કંપની દ્વારા બાયબેક દરખાસ્ત પરત ખેંચી લેતા તેના શેરમાં ઘટાડો રહ્યો હતો. ફાઈનાન્સ બિલ ૨૦૧૯માં બાયબેક ઇચ્છા પર ટેક્સ દરખાસ્તોના પરિણામ સ્વરુપે બાયબેકની દરખાસ્તને ટેક્સટાઇલ કંપનીએ પાછી ખેંચી લીધી છે. ઇરિસ લાઇફ સાયન્સના શેરમાં આઠ ટકા સુધીનો ઘટાડો શરૂઆતી કારોબારમાં જોવા મળ્યો હતો. એશિયન શેરબજારમાં મંદીની સ્થિતિ જોવા મળી હતી. બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં અફડાતફડી રહી હતી તેની સપાટી બેરલદીઠ ૬૭ ડોલર રહી હતી. કોમોડિટી માર્કેટમાં ક્રૂડને લઇને પણ ચર્ચા જોવા મળી હતી. બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસના કાઉન્ટરો ઉપર જોરદાર ઉથલપાથલ રહી હતી. શેરબજારમાં હાલમાં ભારે પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે. આના માટે વૈશ્વિક કારણો મુખ્યરીતે જવાબદાર છે. બેંચમાર્ક સેંસેક્સ ગઇકાલે ૨૬૬ પોઇન્ટ ઉછળીને ૩૮૮૨૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૮૪ પોઇન્ટ ઉછળીને ૧૧૫૮૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સતત પાંચ મહિના સુધી લેવાલીમાં રહ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૪૭૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. બજેટ પહેલાની અપેક્ષાઓ અને વૈશ્વિક ટ્રેડ ટેન્શન લઇને વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર બનેલા છે જેના કારણે વેચવાલીનું વલણ અપનાવ્યું છે. આ પહેલા વિદેશી મૂડીરોકાણકારો દ્વારા સતત પાંચ મહિના સુધી ભારતીય મૂડી માર્કેટમાં જંગી નાણાં ઠાલવ્યા હતા. એફપીઆઈ દ્વારા જૂન મહિનામાં ૧૦૩૮૪.૫૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં રોકવામાં આવ્યા હતા.