આજે રક્ષાબંધન : માત્ર દોરાનું બંધન નહિં પણ બહેની ભાઇ પ્રત્યે, શુભેચ્છાઓનું પ્રતીક

625

રક્ષા બંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઇ પ્રત્યે, નિર્મળ, નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. રક્ષા બાંધતી વખતે બહેન શુભેચ્છાઓ પાઠવતાં એવી આશા રાખે છે કે ભાઇ તો બહેનની રક્ષા કરશે જ. પરંતુ બહેનની શુભેચ્છાઓ પણ મૂક નથી. એ પણ જાણે બોલી ઉઠે છે કે, ’આ રક્ષા તારા જીવનરાહમાં તારું રક્ષણ કરો.’ આ પ્રસંગે ભાઇ-બહેનની એકબીજા પ્રત્યેની લાગણી, ફરજ અદા થાય છે. ભાઇના રક્ષણ નીચે બહેન સમાજમાં નિર્ભયતાથી ફરી શકે એ દ્રષ્ટિએ ભાઇને માથે કેટલી મોટી જવાબદારી છે! બહેનને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે.

આ વર્ષે ૨૦૧૯માં રક્ષા બંધનનો તહેવાર ૧૫ ઓગસ્ટના રોજ ઉજવાશે. આ વખતે રાખડી બાંધવા માટે સવારે ૬.૧૫થી સાંજે ૭.૧૧ સુધી વિવિધ શુભ મુહૂર્ત છે. સવારે તમારે રક્ષાબંધન ઉજવવી હોય તો શુભ મુહૂર્ત સવારે ૬.૧૫થી સવારે ૭.૫૪ સુધીનો છે. તે બાદ ૧૧.૦૭થી બપોરે ૩.૫૭ અને સાંજે ૫.૩૪થી સાંજે ૭.૧૧ સુધીનો શુભ મુહૂર્ત છે. આ ઉપરાંત જનોઇ બદલવા માટે શુભ મુહૂર્ત સવારે ૧૧.૦૭થી બપોરનાં ૧૨.૪૪ દરમિયાન છે. ધાર્મિક માન્યતા છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રા મુક્ત પૂર્ણિમા તિથિમાં મનાવવો જોઇએ. કેટલા વર્ષો બાદ આવો વિશેષ સંયોગ બને છે કે રક્ષાબંધન પર સૂર્યોદયથી પહેલાજ ભદ્રા સમાપ્ત થઇ રહ્યો છે. જેનાથી આખો દિવસ સૂર્યાસ્ત સુધી ભાઇ-બહેન રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે છે.જ્યારે પણ કોઈ કાર્ય શુભ સમયમાં કરવામાં આવે છે તો આ કાર્યની શુભ્રતામાં વૃદ્ધિ થાય છે. ભાઈ-બહેનના સંબંધોને અતૂટ બનાવવા માટે આ રાખડી બાંધવાનુ શુભ મુહૂર્ત સમયસર કરવુ જોઈએ. રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદ્ર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે. ઈતિહાસ- એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા સ્વર્ગના દેવતા ઈંદ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજીત થયા હતાં ત્યારે ઈંદ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યુ હતું જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતાં ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દિધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નીભાવતાં રહ્યાં.

જ્યારે રાજા પોરસ અને મહાન યોદ્ધો સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસુત્ર બાંધ્યું હતું તેને પણ રક્ષા-બંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.

ભારતના ઈતિહાસમાં આવું વધારે એક ઉદાહરણ મળી આવે છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુરશાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી. હુમાયુ તેની રક્ષા માટે સંપુર્ણ પ્રયત્નો કરે છે પરંતુ દુશ્મનોના આગળ વધતાં પગલાંઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતી જૌહર વ્રત ધારણ કરી લે છે.

આધુનિક ઈતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે જ્યારે નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિંદુઓ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોને એકબીજાના હાથ પર રક્ષા-સુત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો.

પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપુર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક બની ગયું છે. જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જીંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવાવામાં આવતું પર્વ નથી પરંતુ ભાઈ આખી જીંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

ઉતરાંચલમાં રક્ષાબંધનને શ્રાવણી કહે છે.આ દિવસે યજ્રવેદી દ્વિજોનો ઉપક્ર્‌મ હોય છે. ઉત્સર્જન ,સ્નાન-વિધિ ,ઋષિ તર્પણાદિ કરીને નવી જનેઉ ધારણ કરે છે. બ્રાહ્મણોનો આ સર્વોપરિ  તહેવાર છે. વૃતિવાન બ્રાહમણ પોતાના ભક્તોને  જનેઉં અને રાખડી આપીને દક્ષિણા લે છે.

Previous articleમોદી કોઇ નવી ઘોષણા કરી શકે : દેશવાસી ખુબ ઉત્સુક
Next articleગ્રામ્ય સ્તરે તબીબી સેવાનો વ્યાપ વધારવા નિર્ણય થયો