વડોદરા શહેરના છાણી વિસ્તારના જય નારાયણ કુંજ ગણેશ યુવક મંડળના ૭૦થી ૮૦ જેટલા લોકો વહેલી પરોઢે ૩ઃ૧૫ વાગ્યે નવલખી મેદાન ખાતે આવ્યા હતા. જ્યાં રાત્રીના સમયે ગણપતિ વિસર્જન બંધ હતું. જેથી લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. અને ક્રેઇન ઓપરેટરો પણ નહોતા. આ સમયે ત્યાં હાજર બે પોલીસકર્મીઓને યુવાનોએ વિસર્જન કરવાનું હોવાથી લાઇટો ચાલુ કરવા માટે જણાવ્યું હતું. જોકે વિસર્જન બંધ હોવાથી પોલીસકર્મીઓએ લાઇટો ચાલુ કરી નહોતી. જેથી મંડળના યુવાનોએ પોલીસ કર્મીઓ સાથે મારામારી કરી હતી. અને પીસીઆર વાનની તોડફોડ કરી હતી. જેથી તુરંત પોલીસ જવાનોએ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
જય નારાયણ કુંજ ગણેશ યુવક મંડળના યુવાનો પોલીસને જણાવ્યું હતું કે, અમને વિસર્જન નહીં કરવા દો, તો અમે અહીં જ મૂર્તિ મૂકીને જતા રહીશું. જેથી પોલીસે વિવેક બુદ્ધીનો ઉપયોગ કરીને વિસર્જન કરવા દીધુ હતું. પરંતુ વિસર્જન બાદ પોલીસે ગૌતમ ગાંધી, રાહુલ પાટીલ, શિવમ, હર્ષ ગાંધી, ઋષી, હિરેન અને પ્રિયાશું મોચી સહિત ૧૬ યુવાનોની ધરપકડ કરી હતી. અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.