પીએમસી કાંડ : રેકોર્ડમાંથી ૧૦.૫ કરોડ કેશ ગાયબ છે

352

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેંક કોંભાડના મામલામાં બેંકની આંતરિક તપાસ ટીમે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ટીમે કહ્યુ છે કે બેંકના રિકોર્ડમાંથી કુલ ૧૦.૫ કરોડની રોકડ રકમ ગાયબ થયેલી છે. તપાસ ટીમને એચડીઆઇએલ અને તેની સંબંધિત કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક ચેક મળી આવ્યા છે. આ ચેક બેંકમાં ક્યારેય જમા કરવામાં આવ્યા ન હતા. છતાં તેમને કેશ રકમ આપવામાં આવી હતી. સાથે સાથે એક હેરાન કરનાર બાબત એ પણ છે કે આ કોંભાડ ૪૩૫૫ કરોડમાં નહીં બલ્કે ૬૫૦૦ કરોડમાં છે. પીએમસી બેંકની આંતરિક તપાસ ટીમને જે ચેક મળ્યા છે તે ૧૦ કરોડ રૂપિયાથી વધારેના છે. બાકીના ૫૦-૫૫ લાખ રૂપિયાના કોઇ હિસાબ નથી. આ ઉપરાંત બેંક અધિકારીઓએ કોંભાડની રકમ પહેલા ૪૩૫૫ કરોડની કહી હતી. હવે આ રકમ ૬૫૦૦ કરોડની હોવાનુ જાણવા મળ્યુ છે. બેંકને હાલમાં ૧૦.૫ કરોડ રૂપિયાની રકમ ગાયબ હોવાની માહિતી મળી છે. જ્યારે આરબીઆઇ દ્વારા નિમણૂંક વહીવટીતંત્રે પણ તપાસ હાથ ધરી છે. નિયુક્ત વહીવટીતંત્રના આદેશ પર બેંકની નાણાંકીય લેવડદેવડની રકમ અંગે માહિતી મેળવી લીધી છે. જેમાં કોંભાડની રકમ વધારે હોવાની વિગત સપાટી પર આવી છે. તપાસમાં જાણવા મળ્યુ છે કે એચડીઆઇએલ તેમજ ગ્રુપની અન્ય કંપનીઓ કેશ ઇચ્છતી હતી. એફઆઇઆરમાં નવી કલમ ઉમેરવામાં આવી શકે છે. લોન કોંભાડની રકમ ૪૩૫૫ કરોડથી વધારેની છે. હવે એફઆઇઆરમાં કોંભાડની રકમની હેરાફેરીની કલમ ઉમેરવામાં આવી શકે છે. છેલ્લા બે વર્ષમાં બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસને ચેક મોકલવામાં આવ્યા હતા. થોમસે આના બદલે રોકડ આપી હતી પરંતુ બેંકમાં ચેક જમા કર્યા ન હતા. બેંકના રેકોર્ડ બુકમાં ચેકની એન્ટ્રી કરવામાં આવી નથી તેવી શંકા છે કે, થોમસે ૫૦-૫૫ લાખ રૂપિયા પોતાની પાસે રાખી લીધા હતા. થોમસે લોન કમિટિ મેમ્બર્સની સાથે એચડીઆઈએલ અને તેના ડિરેક્ટર રાકેશ અને સારંગ વર્ધવાનને લોન મંજુર કરી હતી. આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી ચુકી છે. એક અધિકારીએ કહ્યું છે કે, લોન પ્રધાનની રકમનો આંકડો ૬૫૦૦ કરોડ સુધી પહોંચી ચુક્યો છે. આ મામલામાં નવી નવી વિગતો ખુલી રહી છે. બીજી બાજુ પીએમસી બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસને ગુરુવારના દિવસે ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. થોમસ હાલ જેલ ભેગા થયા છે. બીજી બાજુ મુંબઈની કોર્ટે બેંકના પૂર્વ ડિરેક્ટર એસ સુરજિતસિંહને ૨૨મી ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

 

Previous articleમતદારો ચૂટણી કાર્ડની અવેજીમાં આ ૧૧ દસ્તાવેજો પૈકી  કોઇ એક દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે
Next articleકોઇ સમયે શું ભુલ થઇ છે તે બાબત યાદ રાખવાની જરૂર