આજે વિધાનસભામાં ગુજરાતમાં પાણીની અછતનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં નર્મદાની માગ પર ઉભા થયેલા સવાલ પર ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ગુજરાતમાં પીવાના પાણીની તકલીફ નહીં પડે તેવી ગૃહમાં ખાતરી આપી હતી.
ગૃહમાં તેમણે આ અંગે કહ્યું હતું કે, કોઈપણ નાગરિકને પીવાના પાણીની તકલીફ નહીં પડે. છતાં આપણે પાણીની કરકસર કરીએ અને અફવા ન ફેલાવી જોઈએ. તેમણે આ મામલે પ્રચાર માધ્યમોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પ્રચાર માધ્યમો લોકમત ઉભો કરે છે. પાણીના બગાડ માટે સરકારનું પણ ધ્યાન દોરે છે. તેથી પાણીનો ખોટો વ્યય ન કરવો જોઈએ, અને જનતપૂર્વક વાપરવું જોઈએ. તેમણે કહ્યું કે, નર્મદા યોજનાનું ૫૨૨૩૧ કિ.મી. કેનાલનું કામ પુરુ થયું છે. ૧૦૫૩૨ કિ.મી.ના કામો આગામી ૨ વર્ષમાં પૂરા થશે. અગાઉ ક્યારેય ઉનાળુ સિંચાઈનું પાણી અપાયું નથી.ડેમો ભરીને પાણીના વેડફાટ અંગેના આક્ષેપ સામે ડેપ્યુટી સીએમએ જવાબ આપતા કહ્યું કે, ગુજરાતને ૯.૩૪ મિલિયન એકર ફિટ પાણી ફાળવાયું છે. પાણી ફાળવાતા પાણીની તંગીનો પ્રશ્ન નહોતો. ભચાઉનો કાર્યક્રમ ૨ મેં ૨૦૧૭ના રોજ આયોજીત હતો. આજી ડેમનો કાર્યક્રમ ૨૯ જૂન ૨૦૧૭ના રોજ આયોજીત હતો. કચ્છ – સૌરાષ્ટ્રને પીવાના પાણીને પ્રાથમિકતા છે. ટપ્પર અને આજી ડેમ આ વર્ષે પણ ભરવામાં આવશે. નર્મદા આધારિત પીવાના પાણીની તકલીફ નહીં પડે. જરૂર જેટલું પાણી આપવા સરકારનું સંપૂર્ણ આયોજન છે.