થોડા દિવસ પહેલા એટલેકે ૯ મી ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ વડોદરા ખાતે દીપક ફાઉન્ડેશન દ્વારા એક સેમિનાર યોજાયો હતો. તેમાં મારે જવાનું થયું હતું. જોકે સેમિનાર બે દિવસનો હતો, પણ હું તેમાં એક દિવસ હાજર રહેવાનો હોવાથી પ્રથમ દિવસના અંતિમ સત્રમાં હાજરી આપી ભાવનગર જવા નીકળી ગયો હતો. પ્રથમ દિવસે અંધજનોના વિકાસમાં ગતિ લાવવા વિચારણા કરવામાં આવી હતી. તેના થોડા પાસાઓ પર દ્રષ્ટિપાત કરવા માગું છું. ખાસ શાળાના બદલે “ઇન્ક્લુજીવ એજ્યુકેશન” એટલે કે “સમાવર્તી શિક્ષણ” પર ભાર મુકવો. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ અને પ્રતિભા નિખારવાના હેતુથી આવું પરિવર્તન કરવું જરૂરી હોવાનો મત અને અભિપ્રાય સેમિનારના વક્તા ડૉ.હોમિયાર મોબેદજીએ ઉદાહરણ સહિત રજૂ કર્યા હતા.
મને તેમની દલીલના કેટલાક મુદ્દાઓ બિનતાર્કિક અને વજૂદ વગરના લાગ્યા હતા. ચર્ચામાં ભાગ લઈ મેં મારી દલીલ રજૂ કરી હતી, પણ ચોક્કસ ધ્યેય સાથેના આરંભેલા યુદ્ધમાં હંમેશા કલ્યાણનું ગળું દબાવી દેવામાં આવતું હોય છે, તેમ પરિવર્તનના નામે યોજેલા સેમિનારમાં ચાલતું હતું. વક્તા શ્રીના મતે ખાસ શાળાઓ કોઈ પરિણામો આપી શકી નથી. તેથી સમાવર્તી શિક્ષણ પ્રજ્ઞાચક્ષુ બાળકોના સર્વાંગી વિકાસ માટે તેના વિકલ્પ તરીકે અપનાવવું પડશે. તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે,પ્રજ્ઞાચક્ષુ બાળક ખાસ શાળામાં વ્યક્તિત્વ વિકાસને લગતી કેળવણીથી તદ્દન વંચિત રહી જાય છે. પરિણામે તેને સામાન્ય સમાજની મુખ્ય ધારામાં સમાયોજન સાધવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલીક કેળવણીના અભાવે તે નોકરી ધંધામાં પણ ધાર્યા પરિણામો આપી શકતા નથી. તેથી શિક્ષણની નવી પ્રણાલી અપનાવવી પડશે. વળી બ્રેલની સાથોસાથ અવનવા ફોર્મેટમાં શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી પડશે. ઇ–બુક પર ભાર મૂકી તેમણે અંધજનોને શિક્ષણ આપતી ખાસ સંસ્થાઓને ઉદ્દેશીને આહવાન કર્યું હતું. બદલાતા સમયમાં ખાસ શાળાઓએ પોતાની ભૂમિકા બદલવી પડશે. સમાવર્તી શિક્ષણ માટે પ્રજ્ઞાચક્ષુ બાળકોને તાલીમબદ્ધ કરવા પડશે. જરૂરી સાધન સામગ્રી અને ઇ- બુક ફોર્મેટમાં પુસ્તકો પુરા પાડવા પડશે.
ડૉ.હોમિયાર મોબેદજીની દલીલ સમુદ્રના કિનારે બેસી, સમુદ્રની ઉંડાઈ વિશે અનુમાન બાંધવા જેવી મને લાગી હતી. એટલું જ નહિ ભાવિ અંધ બાળકોને થનાર અન્યાય સામે લડવા મારા અંતરમાં તોફાન જાગ્યું હતું. સમુદ્રની મધ્યમાં તોફાનમાં ફસાયેલો નાવિક હોડીના રક્ષણ માટે પગલા ભરે છે. તેમ મેં કેટલાંક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા. ડૉ.હોમિયાર મોબેદજી સામે અનેક મુદ્દાઓ ઉઠાવી ચર્ચામાં ભાગ લીધો હતો. છેલ્લા ૨૦૦ વર્ષમાં ખાસ શાળાઓએ અંધજનોના વિકાસના અનેક નવા દ્વાર ખોલ્યા છે. તેની વિગતો આપી હતી. કારણ કે મારા મતે ખાસ શાળાઓએ, પોતાની આંખોની બાહ્ય દ્રષ્ટિ ગુમાવનાર મારા બંધુઓ અને ભગિનીઓને નવી દ્રષ્ટિ આપી છે. સંગીત જેવા ક્ષેત્રમાં આગળ વધવા ખાસ શાળાઓનો કોઈ વિકલ્પ નજરે પડતો નથી. ઉદ્યોગ, રમતગમત, નાટક, નૃત્ય, રાસગરબા જેવી કલાના વિકાસ માટે સામાન્ય શાળાઓમાં અંધજનો માટે કોઈ વ્યવસ્થા શક્ય કે સંભવ નથી. છતાં આટલા આગ્રહ સાથે ખાસ શાળાઓ સામે સરકારનો હાથો બનવા શા માટે આંગળી ચીંધવામાં આવતી હશે. તે મારી સમજમાં ન આવ્યુ. મને ઘણા વર્ષોનો ઇન્ક્લુજીવ એજ્યુકેશનનો અનુભવ છે. રાજ્યભરનાં વિશિષ્ટ શિક્ષકોની કામગીરી અને સામાન્ય શિક્ષકો તેમજ આચાર્યના વ્યવહારથી હું પુરેપુરો વાકેફ પણ છું. મને આમાં અંધ બાલકનું કલ્યાણ ક્યાંય નજરે પડ્યું નથી. ખાસ શાળાઓમાં પ્રવેશથી વંચિત રહેતા અંધ બાળકો અને અલ્પ દ્રષ્ટી ધરાવતા બાળકો માટેનો તે વિકલ્પ જરૂર હોય શકે છે. તેથી તેની હું અવગણના કરવા માગતો નથી. આપણે ત્યાં એક કહેવત છે: ‘નહિ મામો કરતા કહેણનો મામો શું ખોટો? ભલેને સગો મામો ન હોય પણ મંમીનો બનેલો ભાઈ મામો તો કહેવાય. તે કોઈવાર ખપ પડ્યે કામ આવી શકે ખરો, એમ જેમને કોઈ પણ કારણસર ખાસ શાળામાં ભણવું ન હોય તો તે સામાન્ય શાળામાં ભણી શકે તે વ્યવસ્થાને હું આવકારદાયક જરૂર માનું છું પણ તેને ખાસ શાળાના વિકલ્પ તરીકે સ્વીકારવા તૈયાર નથી. જેમ રોલગોલ્ડ ધાતું સોના જેવી ચમકદાર જરૂર હોય છે, પણ તે સોના જેવું મૂલ્ય આપી શકતી નથી. જેમ આભૂષણ માટે સોનાનો કોઈ વિકલ્પ નથી, તેમ ખાસ શાળાનો પ્રજ્ઞાચક્ષુ બાળકોના શિક્ષણનો કોઈ વિકલ્પ નથી. જેમ રસ્તા પર લાઈસન્સ વગરનો ગાડી ચલાવતો ડ્રાઈવર હાનીકારક બને છે, તેમ અંગત તૃષ્ણા સંતોષવા બિન અભ્યાસુ વક્તા કોઈવાર પ્રસ્થાપિત વ્યવસ્થાને લૂણો લગાડી શકે છે.
મને ટેક્નોલોજીને વિસ્તારવા યોજાયેલો સેમિનાર નવી દિશાના દ્વાર ખોલનારો હોવા છતાં અંધજનો માટે અનેક પડકાર ઊભા કરનાર ખતરાની ઘંટડી જેવો લાગ્યો છે. મિત્રો, ૧૯૭૦ નો દાયકો અંધજનો અને વિકલાંગોના વિકાસના સૂર્યોદય જેવો હતો. આ દાયકામાં અનેક વિચારવિનિમય થવાના કારણે ૧૯૭૬ ની યુનોની સામાન્ય સભાએ ૧૯૮૧ ના વર્ષને ‘વિશ્વ વિકલાંગ વર્ષ’ તરીકે ઊજવવા ઠરાવ કર્યો હતો. ૧૯૮૨ ની યુનોની સભાએ પુન:વિચારણા હાથ ધરી વિકલાંગોના વિકાસ માટે મંત્રણા કરી તેના અસરકારક શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનર્વસનનાં કાર્યક્રમોને પહોંચી વળવા વિશ્વભરમાં જાગૃતિ લાવવાના હેતુથી ૧૯૮૩ થી ૧૯૯૨ ના દાયકાને ‘વિશ્વ વિકલાંગ’ દાયકા તરીકે મનાવવાનું ઠરાવ્યું હતુ.પરિણામે દુનિયાભરના દેશોએ ક્રાંતિકારી પગલાં ભર્યા છે. વિકલાંગોના કલ્યાણ માટે અનેક કાયદાઓ પણ ઘડાતા રહે છે. આ બધી જ સાનુકૂળતાઓને લીધે આજે કોઈ પણ વિકલાંગ વ્યક્તિ સમાજમાં ગૌરવપુર્વક પોતાનું જીવન જીવી શકે છે. ઘોર જંગલના કોઈ વૃક્ષને કાપી બનેલી, નાનકડી દીવાસળી આખા જંગલને સળગાવી શકે છે, તેમ ખોટી વિચારધારાને શરણે થયેલો કહેવાતો તજજ્ઞ અંધ વ્યક્તિને થોડા આર્થિક સ્વાર્થ ખાતર હાનિ પહોંચાડી શકે છે. અંધજનો માટે પ્રગતિની દોડતી ગાડીને પોતાનો કક્કો ખરો કરવા ખોટી વિચારધારા વડે તિતરભિતર કરી શકે છે. આને હું ડુંભાણિયા ચાંપનારા તજજ્ઞ માનું છું.
આંખો ભલે બંધ હોય પણ દ્રષ્ટિનાં દ્વાર ખૂલા છે. ખુલ્લા દ્રષ્ટિનાં દ્વાર મને મારા ભાઈઓ અને ભગિનીઓના કલ્યાણના માર્ગે કદમ ઉપાડવા પ્રેરણા આપે છે. જ્યાં અંધજનોના હિતને હાનિ પહોંચાડવા હિલચાલ ચાલતી હોય ત્યાં મને મારા ઉપડેલા કદમો દોરી જાય છે. પ્રજ્ઞાલોકના પ્રદેશના ઉજાસ માટે મારા અવાજનો નાનકડો દીપક લઈ હું પ્રકાશ પાથરવા પહોંચી જાઉ છું. સંસારમાં વ્યાપેલા અન્યાયના અંધકારને ભલે મારા અવાજનો નાનકડો દીપક ખાળી ન શકે, પણ પ્રભુની પૂજા સમજી અન્યાયના અંધકારને મિટાવા મારી ચેતનાને જાગતી રાખું છું. આ માટે હું ઇશ્વર પાસે સારાં કર્મોનાં ફળની માગણી કરવા નથી માગતો. સારા કર્મો કરવા શક્તિ માગું છું. ઇશ્વર તરફથી ઉર્જારૂપી અવિરત મળતી શક્તિ મારા કર્મયજ્ઞને પ્રજ્વલિત રાખે છે.
મને પ્રાર્થનાના શબ્દો યાદ આવે:
“હે પ્રભુ પ્યારા, દુ:ખ હરનારા,
સૃષ્ટિ સરજનારા,
સુંદરતા બક્ષનારા.
હે પ્રભુ પ્યારા…
૧ દેવોમાં પ્રભુ દેવ ગણાતા,
ધર્મ બચાવા અવતાર ધરનારા.
હે પ્રભુ પ્યારા.
૨ માનવમાં પ્રભુ બુદ્ધિ મૂકનારા,
દૂર કરો અવગુણ અમારા. હે પ્રભુ પ્યારા…
૩ કર્મ કરવા પ્રભુ,
શક્તિ માગું છું,
મુજ હૈયે તવ વાસ ચાહુ છું.
હે પ્રભુ પ્યારા…
૪ નાજુક મારું હ્રદય ચલાવા,
કૃપા કરી મુજ પર મહાદેવા.
હે પ્રભુ પ્યારા…
૫ તવ શરણોમાં મુજને સમાવા,
વંદું છું પ્રભુ તવ ચરણોમાં.
હે પ્રભુ પ્યારા, દુ:ખ હરનારા,
સૃષ્ટિ સર્જનારા,
સુંદરતા બક્ષનારા.
હે પ્રભુ પ્યારા…
દુર્ગા રાગમાં ગવાતી મારા અંતરના પડદા ખોલી મારા વિદ્યાર્થી કાળમાં જ લખાયેલી કાવ્ય વંદના છે. બાળપણમાં ઇશ્વર જાણે મને ઘડવા ઇચ્છતો હોય, તેમ મારા અંતરમાં ડોકિયા કરી, મારી દેખભાળ કરવા, આવી પહોંચતો હતો.
“બાહ્ય આંખોના ભલે તેજ ઝુંટવી લીધા નાથ, તોય અંતરનું તેજ તેં દીધું. સમજણનું દર્પણ દઈ કલ્યાણ કેવુ કીધું! જ્ઞાનનો દીપક પ્રગટાવવા પ્રભુ, સંધ્યાના રંગ ભરી દીધા.
આથમતી ઉષાના કિરણો જાણે ઉતાવળા બની પોતાની બધી માયા સંકેલી વિદાય થવાના મુડમાં હોય. તેવુ દ્રશ્ય પૃથ્વી પર પાથરી તારીખ ૭ ઓગસ્ટ ૧૯૭૫નો સંધ્યાકાળ આકાશમાં હડિયાપાટી કરતા વાદળોના પડઘમ સાથે પધારવા ડગ ભરતા હતા. મા’રાજની મઢીનો રસ્તો કાપતા મારા ધીમા પડેલા પગલા આજે ઇશ્વરની લીલાનો ભેદ પામવા વધુ ધીમા પડતા જતા હતા. અચાનક ઓઢેલી ચાદર કોઈ ખેંચી લે તેમ ચમત્કાર થયો. રંગબેરંગી આકાશ શોભાનું પુષ્પ બની ખીલી ઊઠ્યું. લોકોના ટોળા નજારો જવા ઊમટી પડ્યા. મારી બંધ આંખો જે જોઈ શકતી ન હતી, તે અંતરની આંખો આજે કેમેરો બની દ્રશ્યો કેદ કરવા લાગી હતી. ભીતરમાં સોહમનો સૂરીલો નાદ કોયલના કર્ણપ્રિય અવાજને ટક્કર મારી સુખના સિંહાસન પર બિરાજમાન થવા પોંખી રહ્યો હતો. બાહ્ય આંખોની દ્રષ્ટી ગુમાવ્યા પછી અંતરની આંખો ખોલી આપવાનો યાદગાર આ દિવસ હતો. ખીલેલી સંધ્યાના રંગો અંગેઅંગમાં ઊતરી રોમાંચ રચતા હતા. મારા માટે સમજનું સામ્રાજ્ય ઊભું કરવા ઇશ્વરે પ્રકૃતિને મારી શિક્ષિકા બનાવી મોકલી હતી. પ્રકૃતિનાં ખોળે મારા શિક્ષણનો પ્રાંરભ ખુદ ઇશ્વરે કરવા આ ઉપક્રમ ગોઠવ્યો હશે, તેમ હું માનુ છું.
સંધ્યાના ખીલેલા રંગો મારા અંતરમાં સંતાકૂકડી રમતા હતા. વિચારોની ઘટમાળ ઘંટીની જેમ ફેરા મારતી હતી. દરમિયાન શ્રાવણમાસ આવતા થોડી મોટી ઉંમરની બહેનો ભેગી મળી. ભજન કીર્તન માટે એકઠી થઈ, કીર્તન ઉપાડે છે…
“જેણે આપ્યો મનુષ્ય અવતાર, કેમ ભુલાય નામ ભગવાનનું રે!”
મારા અંતરમાં ફરી તોફાન જાગ્યું. મનુષ્ય અવતાર ભગવાને મને પણ આપ્યો છે. મારે તેનું ઋણ અદા કરવા શું કરવું જોઈએ? બાળપણથી માતાનું છત્ર ગુમાવ્યું હોવાથી, ઘરમાં મને તેનો ઉત્તર આપનાર એકમાત્ર પિતા સિવાય કોઈ ન હતું. પિતાશ્રી રાજકારણના પૂરા રંગે રંગાયેલા હતા. ઘરમાં એકલા મળવાનો સમય મળવો મુશ્કેલ હતો. મોડી રાત્રીના મળી શકે. પણ મોડી રાત્રી સુધી હું જાગી શકતો ન હતો. એટલે મેં હિમંત એકઠી કરી પિતાશ્રીને થોડા મુલાકાતીઓ વચ્ચે જ પૂછી નાખ્યું: ‘બાપુજી, ઇશ્વરનું ઋણ અદા કરવા મારે શું કરવુ જોઈએ?’ બાપુજીએ જે ઉત્તર આપ્યો તે મારા દિલમાં કંડારી રાખ્યો છે. ‘ઇશ્વરની જેમ અન્યનું ભલું કરવુ. બીજાના સુખ માટે કાર્યશીલ રહેવુ. કર્મ કરવું પણ અભિમાન ન કરવું. આવેલા દુ:ખને પડકાર સમજી કામે લાગી જવું. નિષ્ફળતા મળે તો હારવું નહિ. જરૂરિયાત કરતા વધુ મેળવવા ધમપછાડા કરવા નહિ’ પિતાની વાણીનો પ્રવાહ સરિતાની જેમ વહી રહ્યો હતો. થોડા સમજદાર લોકો બોલી ઉઠ્યા: ‘તમે પણ ટપુભાઈ! આટલા નાના છોકરાને અઘરી વાતોમાં શી સમજ પડે? બીજાએ કહ્યુ: ‘જા બેટા, ફળિયામાં રમ’. મારા કાકાએ મને ટપલી મારી ફળિયું બતાવી દીધુ. ભૌતિક ફળીમાં ફરતો હું પિતાના આધ્યાત્મિક જગતમાં વિહરું છું. ગમે તેવા સેમિનારો યોજાઈ પણ મારી મંજિલ નક્કી છે. મારી મંજિલ અંધજનોના કલ્યાણની છે. પિતાની મળેલી સલાહથી મારી મંજિલ પર દોડતો રહેવા માગું છું, એટલે હું માનું છું– “બંધ નથી દ્રષ્ટિનાં દ્વાર”.
લેખક લાભુભાઈ ટી. સોનાણી