પુલવામામાં દળો સાથેની અથડામણમાં ૩ આતંકી ઠાર

216

સુરક્ષાદળો આકરા પાણીએ : અવંતીપોરામાં નાગબેરાન ત્રાલ સ્થિત વન વિસ્તારમાં ઊંચાઈવાળા વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ અભિયાન ચલાવ્યું
શ્રીનગર,તા.૨૧
જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓએ આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી. સુરક્ષાદળોના જણાવ્યાં મુજબ આ દરમિયાન આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા ત્રણ આતંકીઓ ઠાર થયા છે. હજુ જોકે તેમની ઓળખ થઈ નથી. આતંકીઓની હાજરીની બાતમી મળતા સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના અવંતીપોરામાં નાગબેરાન ત્રાલ સ્થિત વન વિસ્તારમાં ખુબ ઊંચાઈવાળા વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન ચલાવ્યું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું ત્યારબાદ અથડામણ શરૂ થઈ. તેમણે જણાવ્યું કે અથડામણ હજુ પણ ચાલુ છે. દેશમાં આઝાદીનો તહેવાર શાંતિથી સંપન્ન થવા છતાં પાકિસ્તાનની નાપાક કરતૂતો ચાલુ છે. ૧૯ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારે આતંકીઓ સાથે અથડામણમાં આર્મીના એક જૂનિયર કમિશન્ડ અધિકારી (જેસીઓ) શહીદ થયા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ થાનામંડી વિસ્તારમાં આતંકીઓની હાજરીની બાતમી મળતા સર્ચ અભિયાન શરૂ કર્યું હતું.

Previous articleભારતમાં ૨૪ કલાકમાં ૩૪૪૫૭ નવા કેસ નોંધાયા
Next articleકાબુલથી ૮૫ ભારતીયોને લઈ ઉડ્યું વાયુસેનાનું વિમાન