પાલીતાણાના રણછોડભાઈ મારુંને લાગ્યો છે “ઝવેરચંદ મેઘાણીનો રંગ”

495

મેઘાણી માએ રણછોડભાઇએ ઝવેરચંદ મેઘાણીને મન-વચન-કર્મથી વાસ્તવમાં આત્મસાત કર્યા છે : અદ્દલ ઝવેરચંદ મેઘાણી જેવી જ વેશભૂષા ધારણ કરવાં સાથે ઘરમાં ઝવેરચંદ મેઘાણીનું મંદિર પણ બનાવ્યું છે
ગુજરાતી સાહિત્યના ઘૂઘવતા મહેરામણ અને ’રાષ્ટ્રીય શાયર’ એવાં ઝવેરચંદ મેઘાણીની પ્રસિદ્ધ પંક્તિઓ “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ…. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ..” ને પાલીતાણાના રણછોડભાઇ મારુંએ જરા જુદી રીતે આત્મસાત કર્યો છે..તેઓ કહે છે કે, હો રાજ મને લાગ્યો ઝવેરચંદ મેઘાણીનો રંગ…” જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણામાં રહેતાં રણછોડભાઈ મારું નામના એક વ્યક્તિને જાણે ઝવેરચંદ મેઘાણીનો રંગ લાગ્યો હોય તેમ છેલ્લાં બે દાયકાથી મેઘાણી મંદિર બનાવીને તેમના જેવો જ અદ્દલ પોશાક સાથે પોતાનું જીવન વ્યતિત કરી રહ્યાં છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના તેવો અનોખા ચાહક છે. મેઘાણી પ્રત્યે તેમને એવો અદ્ભુત પ્રેમ છે.કે બિલકુલ તેમનાં જેવો જ પહેરવેશ પહેરે છે.તેઓ કહે છે કે, છેલ્લાં ૪૦ વર્ષથી મેઘાણીજીની જન્મ જયંતી હું હૃદયથી ઉજવી રહ્યો છું. મેઘાણી ભવનમાં છેલ્લા ૨૦ વર્ષથી જઉં છું. મારે મન રોજ મેઘાણી જન્મ જયંતી છે. લોકો ૧૨૫ મી જન્મ જયંતી ઊજવી રહ્યાં છે પરંતુ હું જીવું ત્યાં સુધી હરરોજ જન્મ જયંતી ઊજવીશ તેવો દ્રઢ વિશ્વાસ ધરાવે છે. મેઘાણી જન્મ તિથિ ૯મી માર્ચ ના રોજ ઉજવાતી હોય છે તેમાં પણ હું માનતો નથી. કેમ કે મેઘાણીજી અવસાન પામ્યાં જ નથી. એ મરણ પામે તેની જ તિથિ ઉજવવામાં આવતી હોય છે. મેઘાણી બાપુ હર હંમેશ સૌના હૃદયમાં છે. આવનારા અનેક વર્ષો સુધી લોકોના જીવનમાં રહેશે તેવી મેઘાણી પ્રીતિ તેમના શબ્દોમાં ઝળકે છે.રણછોડભાઈને દૂરથી કોઈ જૂએ તો તેમણે ઝવેરચંદ મેઘાણી સમજી થાપ ખાઈ બેસે કેટલી ચોકસાઈથી તેઓ તેમને અનુસરે છે. ઝવેરચંદ મેઘાણી પ્રત્યે રણછોડભાઈ મારુંને એટલી હદે આદર છે કે, તેમના પોતાના ઘરમાં જ મેઘાણીજીનું મંદિર બનાવ્યું છે અને નિત્ય તેઓ ઈશ્વરની જેમ જ ઝવેરચંદ મેઘાણીના માનમાં પૂજાપાઠ કરે છે. તેમને સવાર-સાંજ નિયમિત નમન કરે છે. તેમનું સમગ્ર ઘર અને તેમનું સમગ્ર જીવન મેઘાણીમય છે. ઝવેરચંદભાઈ જે -જે સ્થળોએ ફરીને તેના વિશે લખતાં હતાં તે તમામ સ્થળો તેમજ સોરઠ પંથકમાં બોટાદની તેમની કર્મભૂમિ હોય ત્યાં બધે રણછોડભાઇએ ફરીને પવિત્ર ભૂમિને નમન કર્યા છે.માત્ર પહેલા ધોરણનો જ શિક્ષણ મેળવેલાં રણછોડભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાથી એક સમયે તેમણે લોખંડ પતરાનો ભંગાર વેચીને ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો ખરીદ્યા હતા અને તેમના વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અત્યારે રણછોડભાઈને કસુંબીનો રંગની જેમ મેઘાણીનો રંગ લાગ્યો હોય ઝવેરચંદ ભાઈની સ્મૃતિમાં છેલ્લાં શ્વાસ સુધી પોતાનું જીવન જીવવાનો નિર્ધાર કર્યો છે. તેમના ઘરની પાલીતાણામાં મુલાકાત લેવા જેવી છે. તેમના ઘરની મુલાકાત સમયે તમે જોઈ શકો છો કે દરેક દિવાલ ઉપર તેમની સ્મૃતિ જડેલી છે. તેમના પુસ્તકોના ચિત્રો ટાંગેલા છે અને વચ્ચે બિરાજમાન છે ઝવેરચંદ મેઘાણીનું નિજમંદિર અહીં રણછોડભાઈ નિયમિત પૂજા પાઠ કરીને તેમને યાદ કરે છે. તેમની પાસે એક સ્કૂટર છે તેના ઉપર તેઓ ઝવેરચંદ મેઘાણીના દરેક સ્મૃતિ સ્થાનો ઉપર ફરેલાં છે. તેઓ ભલે પોતે ઓછું ભણ્યાં હોય છતાં તેમને કાયમ યાદ રાખવાં માટે પુસ્તકોનું લેખન પણ કર્યું છે. ઝવેરચંદ મેઘાણીની હમશકલ જેવા રણછોડભાઈ મારું જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ભાવનગર જિલ્લામાં આવેલાં પાલીતાણા ગામમાં રણછોડભાઈની ઓળખ ઝવેરચંદ મેઘાણીની આવૃત્તિ તરીકેની છે. તેઓ મળવાં જેવાં માણસ છે. તેમણે વાસ્તવમાં ઝવેરચંદ મેઘાણીને જીવનમાં મન-વચન-કર્મથી આત્મસાત કર્યા છે.

Previous articleભાવનગરમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ન્યાય યાત્રાનો પ્રારંભ કરાયો
Next articleસોનગઢ પો.સ્ટે.ખાતે બનાવાયેલ મિયાવાકી વન, પ્રવેશદ્વારનું લોકાર્પણ