ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ  કમલમમાં અમિત શાહની હાજરીમાં મળેલી બેઠક

1452

લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી આક્રમક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આના ભાગરુપે આજે ભાજપ પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જુદી જુદી બેઠકો યોજાઈ હતી જેમાં દિવ દમણ, દાદરાનગર હવેલી, સેલવાસ લોકસભા સમીક્ષા બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતિષ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ કન્વીનર મિડિયા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ તમામની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી વ્યવસ્થા સમિતિની બેઠક યોજાઈ હતી. લોકસભાની તમામ ૨૬ સીટો જીતવાની રુપરેખા આમા તૈયાર કરવામાં આવી હતી. આ પહેલા વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીનું પુનરાવર્તન કરવા પાર્ટીના કાર્યકરોને અમિત શાહે અપીલ કરી હતી. એસજીવીપી ગુરુકુળ ખાતે આયોજિત ભાજપની ચિંતન શિબિરમાં અમિત શાહે પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો અને કહ્યું હતુ ંકે, તમામ લોકસભાની બેઠક જીતવાની ખાતરી કરવી જરૂરી છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ ૨૬ લોકસભા સીટ ગુજરાતમાં જીતી લીધી હતી. શાહે વિશ્વાસ વક્ત કરતા કહ્યું હતું કે, ૨૦૧૭ની ચૂંટણીમાં આંશિક નિરાશા હાથ લાગી હતી. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનો દેખાવ અપેક્ષા મુજબનો રહ્યો ન હતો. નિરાશાજનક દેખાવ જ્યાં રહ્યો છે તે વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવા અમિત શાહે કહ્યું હતું. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારની સર્વાંગી કામગીરી અંગે મતદારોને માહિતી આપવા અમિત શાહે કાર્યકરોને અપીલ કરી હતી. શિબિરની પૂર્ણાહૂતિ બાદ પત્રકારો સાથે જીતુભાઈ વાઘાણીએ વાતચીત કરી હતી અને બેઠકના સંદર્ભમાં માહિતી આપી હતી.

Previous articleકોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ચાવડાની કોન્ફરન્સમાં હોબાળો મચ્યો, કાર્યકરોએ કરી તોડફોડ
Next articleમનાઈ છતાં પ્લાસ્ટીકનો ઉપયોગ બેફામ