છ આયુર્વેદિક કોલેજ બેઠક પર પ્રવેશ માટે રીન્યુઅલની મંજુરી

1711

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, આયુષ નિયામકની કચેરી હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ આયુર્વેદિક કોલેજોમાં ૪૪૦ બેઠકો ઉપલબ્ધ છે. ભારત સરકારના આયુર્વેદિક કાઉન્સિલના નિયમ મુજબ આ બેઠકો પર નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે મંજૂરી લેવાની હોય છે. દર વર્ષે આ કોલેજો પૂરતો શૈક્ષણિક સ્ટાફ ધરાવે છે કે કેમ ? જરૂરી સાધન સામગ્રી ધરાવે છે કે કેમ ? અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પૂરતી વ્યવસ્થા છે કે કેમ ? તેની ચકાસણી કરવામાં આવે છે તે જ રીતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હસ્તકની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ ૬ કોલેજનું ઇન્સ્પેક્શન કરાયુ હતું અને તેમાં આ તમામ કોલેજોમાં તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થા છે, તે મુજબનો અહેવાલ આયુર્વેદ કાઉન્સિલને રજુ કરાયો હતો તેના આધારે વર્ષ ૨૦૧૮-૧૯ માં ગુજરાતની આ ૬ આયુર્વેદિક કોલેજોમાં ૩૮૦ બેઠકોમાં નવા વર્ષે પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે આ ૬ કોલેજોમાં એક સાથે સેન્ટ્રલ એડમિશન કમિટી દ્વારા એડમિશન પ્રક્રિયા હાથ ધરાશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આયુષ નિયામકની કચેરી હેઠળ કાર્યરત ૭ આયુર્વેદ કોલેજો પૈકી ૬ કોલેજો માટે કેન્દ્ર સરકારના સીસીઆઇએમ દ્વારા આ વર્ષના શૈક્ષણિક વર્ષ માટે મંજૂરી મળી છે. અને સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદની ૬૦ બેઠકો મંજૂરી માટેની પ્રક્રિયા પ્રગતિમાં છે. જે સત્વરે મંજૂર થશે. તેમણે ઉમેર્યુ કે, વર્ષ ૨૦૧૮-૧૯ માટે જે સરકારી આયુર્વેદ કોલેજો તથા ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં બેઠકોના પ્રવેશ માટે મંજૂરી મળી છે તેમા સરકારી આયુર્વેદીક કોલેજ, વડોદરા, ભાવનગર અને જુનાગઢ ખાતે પ્રત્યેક કોલેજોમાં ૬૦ બેઠકો, સ્ટેટ મોડેલ ઇન્સ્ટીટ્યુટ, સરકારી આયુર્વેદિક કોલેજ, કોલવડા, ગાંધીનગર ખાતે ૬૦ બેઠકો તથા ગ્રાન્ટ ઇન એઇડ, ઓહી નાઝર આયુર્વેદિક કોલેજ, સુરત ખાતે ૫૦ બેઠકો માટે અને ગ્રાન્ટ ઇન એઇડ ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, જામનગર ખાતે ૯૦ બેઠકો માટે મંજૂરી મળી છે.

Previous articleસીઆઈએસએફનાં ગોલ્ડન જ્યુબીલી વર્ષની ઉજવણી નિમિત્તે રૂવા ગામે નાટક
Next articleમસ્તરામબાપાની પૂણ્યતિથિ ઉજવાઈ