મુખ્યમંત્રી આવે ત્યારે શહેરને રૂડુ-રૂપાળુ અને દબાણમુક્ત દેખાડવા તંત્ર કામે લાગ્યું
રાજ્યના મુખ્યમંત્રી બે દિવસ બાદ ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે શહેરના માર્ગોને દબાણમુક્ત દેખાડવા મ્યુ. તંત્ર કામે લાગી ગયું છે. જો કે, સામાન્ય દિવસોમાં નગરજનો દબાણો અને ટ્રાફીક સમસ્યાથી ત્રસ્ત રહે છે તેની મહાપાલિકાને કોઇ દરકાર નથી પરંતુ સી.એમ. આવી રહ્યા હોય રૂડુ-રૂપાળુ દેખાડવા કમર કસી છે જે લોકો પણ સારી રીતે જાણે છે. મહાપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરમાં બે-ત્રણ દિવસથી ફરી છુટા છવાયા દબાણો હટાવવા કમર કસી છે. મુખ્યમંત્રી આવે તે પૂર્વે શહેરના રાજમાર્ગો પરથી ગેરકાયદે કેબીન-લારીઓ, બાકડા વિગેરે હટાવવા કાર્યવાહી ચાલી રહી છે. શુક્રવારે એવી સ્કૂલના ગ્રાઉન્ડ ફરતે ખડકાયેલા લારી-ગલ્લા-કેબીનોને હટાવવા કાર્યવાહી કરતા દબાણકર્તાઓએ જાતે જ દબાણો દુર કર્યાં હતાં. જો કે, બે-ચાર દિવસમાં બધુ પાછુ ગોઠવાઇ જશે તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.