મુખ્યમંત્રી વિજયયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)ની નવીન કચેરીનો કાર્યારંભ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
સેક્ટર ૧૦(બી)ના કર્મયોગી ભવનમાં કાર્યરત થયેલી આ કચેરી રાજ્યની અતિપછાત જાતિઓની સામાજિક, શૈક્ષણિક તેમજ આર્થિક સ્થિતિ સુધારવા અંગે વિવિધ યોજનાઓ તૈયાર કરી તેની મંજૂરી અને અમલીકરણની કામગીરી કરે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અતિપછાત સમાજ પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને ગુજરાત અનુ. જાતિ – અતિપછાત વિકાસ નિગમને ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.) નું ૨૦૧૭માં સન્માન જનક નામાભિધાન કર્યું છે.
આ નિગમ દ્વારા અત્યાર સુધીમાં ૩૭૩૪ લાભાર્થીઓને વિવિધ સહાય-લોન અંતર્ગત કુલ ૧૬ કરોડ ૫૯ લાખ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ-નવી દિલ્હીના સહયોગથી સીધા ધિરાણ યોજના અન્વયે માઇક્રો ક્રેડિટ ફાયનાન્સ, મહિલા સમૃદ્ધિ યોજના, પેસેન્જર ઓટો રિક્ષા માટે ધિરાણ, ઇ-પેસેન્જર રિક્ષા – કેરિયર વાહન માટે તેમજ ઊંટ લારી માટે ધિરાણ આ નિગમ આપે છે.
નિગમની આ નવીન કચેરીના કર્મયોગી ભવનના બ્લોક નં. ૨, ડી-૨ વીંગના ચોથા માળે શુભારંભ વેળાએ સામાજિક ન્યાય-અધિકારિતા મંત્રી ઇશ્વરભાઈ પરમાર, સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા, ડૉ. કિરીટભાઈ સોલંકી અને વિનોદભાઈ ચાવડા તથા નિગમના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા, નિયામકો, સંતો અને પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં વિવિધ સમાજવર્ગો ઉપસ્થિત રહ્યા હતાં.