આજે ગાંધીનગર ખાતે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોની ઉપસ્થિતિમાં રાજ્યના વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા તેમના પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવતા નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યુ કે, નાનામાં નાના માનવીની ફરિયાદને ઝડપથી ન્યાય મળે તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજાગતાથી સહાનુભૂતિપૂર્વક કામ કરે જેથી નાગરિક ખોટી રીતે હેરાન થાય નહિ. લોક પ્રશ્નોના સચોટ ઉકેલ માટેનું અસરકારક માધ્યમ બનેલા ‘‘સ્વાગત’’ કાર્યક્રમને ખરા અર્થમાં પ્રજાનો કાર્યક્રમ ગણાવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ વહીવટમાં પારદર્શકતા અને સંવેદનશીલતાથી કાર્ય કરીને લોક પ્રશ્નનો ઝડપથી ઉકેલ આવે તે માટે સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, નાગરિકો ખોટી રીતે હેરાન ન થાય તે માટે સૌએ કાળજી રાખવી જોઈએ, જેથી કરીને વહીવટી તંત્ર ઉપરનો ભરોસો વધુ મજબૂત બને.
આજે મોરબી, અમરેલી, સુરત, હિંમતનગર, વલ્લભવિદ્યાનગર અને અમદાવાદના વિવિધ નાગરિકોના પ્રશ્નોનો નાયબ મુખ્યમંત્રીએ સ્થળ પર હકારાત્મક નિકાલ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા