વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયેલા ગુજરાતની બસને કાશ્મીરમાં અકસ્માત નડ્યો છે. જમ્મુ-પઠાનકોટ હાઈવે પર બસ પલટી ખાતા બે લોકોની મોત થયા છે. તેમજ ૨૪ લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. સુરતના શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી દર્શન માટે ગયા હતા. તેઓ દર્શન કર્યા બાદ વાઘા બોર્ડર તરફ જવા નીકળ્યા હતા. આ મામલે શ્રદ્ધાળુઓને મદદ પહોંચાડવા માટે રાજ્ય સરકારે પણ જમ્મુ સરકાર સાથે સંપર્ક સાધ્યો છે અને મુસાફરોને સારામાં સારી સારવાર મળે તેવું જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કેટલાક શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી દર્શને નીકળ્યા હતા. ૨૫ જેટલા શ્રદ્ધાળુઓ જય ગણેશ દેવા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ નંબર ત્નદ્ભ ૦૨ ઝ્રમ્ ૧૮૫૪માં નીકલ્યા હતા. આજે સવારે પોણા દસ વાગ્યાની આસપાસ ગુજરાતના યાત્રીઓ વૈષ્ણવ દેવીની યાત્રા કરીને અમૃતસર તરફ જઈ રહ્યા હતા. તેઓ વાઘા બોર્ડર પરની પરેડ જોવા માટે નીકળ્યા હતા. તે દરમ્યાન આ અકસ્માત નડ્યો હતો. જમ્મુ કશ્મીરના કઠુઆમાં જમ્મુ-પઠાનકોટ હાઈવે પર બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી. પોલીસ સૂત્રો દ્વારા માહિતી મળી કે, બસ અકસ્માત બાદ તાત્કાલિક ઈજાગ્રસ્તોને કઠુઆ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. બાદમાં ૧૮ ઈજાગ્રસ્તોને જમ્મુની સરકારી મેડિકલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. જેમાંના ૩ લોકોની હાલ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. રમીલાબેન નરેશભાઈ અને મીનાબેન નામની મહિલાઓના અકસ્માતમાં મોત થયા છે. આ બસ ગુજરાતના કયા શહેરની છે તે હજી જાણવા મળ્યું નથી. જોકે, અકસ્માત બાદ બસની આગળના ભાગનો કૂચડો બોલાઈ ગયો હતો. જેના પરથી જાણી શકાય છે કે, આ એક્સિડન્ટ કેટલો ભયાવહ હોઈ શકે છે. અકસ્માતનું કારણ હજી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, આ તમામ મુસાફરો સુરત તથા તેની આસપાસના વિસ્તારના છે, જેઓ વૈષ્ણોદેવી દર્શને નીકળ્યા હતા. આ મુસાફરોમાં ૩થઈ ૪ એનઆરઆઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.