રાજય ભીષણ ગરમીના સકંજામાં : ગરમી હજુ વધશે

702

સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં હાઇપ્રેશરની સિસ્ટમ ડેવલપ થતાં સમગ્ર ગુજરાતમાં ભીષણ ગરમી અનુભવાઈ રહી છે. અમદાવાદ શહેરમાં લોકોની હાલત કફોડી બની ગઈ છે. ગરમીનું પ્રમાણ હજુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. ગરમીનો પારો ઉંચકાયો છે. અમદાવાદમાં સૌથી વધારે ગરમીનો અનુભવ હાલમાં થઈ ચુક્યો છે. આવતીકાલે પારો ૪૧.૪ સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ હિટવેવની સ્થિતિ અમદાવાદ સહિત રાજ્યભરમાં જારી રહેશે. આવી સ્થિતિમાં લોકોને સાવચેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૧થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદમાં ૪૧.૪, અમરેલીમાં ૪૧.૨, રાજકોટમાં ૪૧.૩ અને ભુજમાં ૪૧ સુધી પારો રહ્યો હતો. હિટવેવની સ્થિતિ હજુ અકબંધ રહેશે જેથી લોકોને ભીષણ ગરમીથી રાહત નહીં મળવાની શક્યતા છે. ગરમીનો પારો ઉચકાયો છે. ૪૪ ડિગ્રી સાથે અમદાવાદ દેશના મુખ્ય શહેરોમાં સૌથી ગરમ શહેર બની ગયું છે.  ગરમીના પગલે હીટ એકશન પ્લાન માટે આજે મ્યુનિસિપલ કમિશનર અને હવામાન વિભાગના ડાયરેકટરની આગેવાનીમાં તંત્રની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. મ્યુનિસિપલ તંત્ર દ્વારા આજે ઓરેન્જ એલર્ટ અને ત્યારબાદ ત્રણ દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. ગરમીથી લોકોને કેવી રીતે બચાવી શકાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  ગરમીને લઇ અમ્યુકો દ્વારા હીટ એકશન પ્લાન પણ બનાવાયો છે. જે અંતર્ગત પીપીપી ધોરણે અમદાવાદમાં ૧૫૦૦ જેટલી પાણીની પરબો શરૂ કરવામાં આવશે. એટલું જ નહી, હીટવેવ અને હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અમ્યુકો સત્તાધીશો દ્વારા અમ્યુકો સંચાલિત હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થા અને સારવારની વ્યવસ્થા કરવાની સૂચના જારી કરાઇ છે.  અમદાવાદમાં ગરમી વધતા હવે મ્યુનિસિપલ કોર્પોરેશન હિટ એક્શન પ્લાન તૈયાર કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. યલો એલર્ટ અને રેડ એલર્ટને લઈને લોકોમા અવેરનેસ વધે તે માટે પ્લાન પણ ઘડવામાં આવશે. ગરમીના કારણે લોકોને લૂ લાગવાની તેમજ ચક્કર આવવાના બનાવ બને છે. જેમાં અમ્યુકો સંચાલિત હોસ્પિટલમાં હીટવેવ અને હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ઝડપી સારવાર મળે તે માટે પણ આયોજન કરાશે. દર વર્ષની જેમ આ વખતે પણ બે લાખ નાગરિકોને ઓરેન્જ અને રેડ એલર્ટના મેસેજ અપાશે. શહેરમાં બાર એલઇડી ડિસપ્લે સ્ક્રીનથી લોકો ગરમીની માહિતી પૂરી પાડવામાં આવશે. તો, પીપીપી ધોરણે શહેરભરમાં ૧૫૦૦ જેટલી પાણીની પરબ શરૂ કરાશે. તેમજ લેબર એરિયામાં પીપીપી ધોરણે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાશે.

જો ગરમી બહુ વધશે તો, બાંધકામ સાઇટો પર બપોરના સમય દરમ્યાન મજૂરીવર્ગ કામ કરતાં મજૂરોને કામ કરવા પર પ્રતિબંધ ફરમાવી તેઓને રાહત મળે તેવા પ્રયાસો કરાશે.

Previous articleનરેન્દ્ર મોદી ૧૦મીએ ગુજરાતમાં આક્રમક ચુંટણી પ્રચાર માટે તૈયાર
Next articleચૈત્રી નવરાત્રિ પર્વનો આજથી શુભારંભ