ભારતે પાક.ને હરાવી ફાધર્સ-ડે મનાવ્યો

736

આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ-૨૦૧૯ના હાઇ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે કટ્ટર હરિફ પાકિસ્તાનને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે ૮૯ રને પરાજય આપ્યો છે. આ સાથે વિશ્વકપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ક્યારેય ન હારવાની પરંપરા પણ યથાવત રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે રોહિત શર્મા (૧૪૦), વિરાટ કોહલી (૭૭), કેએલ રાહુલ (૫૭)ની શાનદાર બેટિંગની મદદથી ૫૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૩૩૬ રન ફટકાર્યા હતા. મેચમાં વરસાદના વિઘ્‌નને કારણે પાકિસ્તાનને ૪૦ ઓવરમાં ૩૦૨ રનનો લક્ષ્ય મળ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાની ટીમ ૪૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૨ રન બનાવી શકી હતી. ભારતીય ટીમનો ટૂર્નામેન્ટમાં આ ત્રીજો વિજય છે અને ટીમ ચાર મેચોમાં સાત પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે પાકિસ્તાનનો પાંમચી મેચમાં આ ત્રીજો પરાજય છે. તે ત્રણ પોઈન્ટ સાથે ટેબલમાં નવમાં સ્થાને છે.  પાકિસ્તાનનો સ્કોર ૩૫ ઓવરમાં ૧૬૬/૫ હતો ત્યારે વરસાદને કારણે ફરી મેચ રોકવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાનને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે નવો સંશોધિત લક્ષ્ય આપવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાને ૪૦ ઓવરમાં ૩૦૨ રન કરવાના હતા. એક વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાનની ઈનિંગને બાબર આઝમ અને ફખર જમાને સંભાળી પરંતુ કુલદીપ યાદવ બંન્નેની સદીની ભાગીદારીને તોડવામાં સફળ રહ્યો હતો. તેણે પહેલા બારને બોલ્ડ કર્યો હતો. પાકિસ્તાનની બીજી વિકેટ ૧૧૭ રનના સ્કોર પર પડી. ત્યારબાદ ૧૨ રનની અંદર પાકિસ્તાને ચાર વિકેટ ગુમાવી દીધી. કુલદીપ અને હાર્દિકે બે-બે વિકેટ ઝડપી. હફીઝ (૯) અને મલિક શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન સરફરાઝ અહમદ (૧૨)ને વિજય શંકરે બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

Previous articleમુસાની મોતનો બદલો લેવા થઇ શકે છે કાશ્મીરમાં પુલવામા જેવો હુમલોઃ એલર્ટ જાહેર
Next articleઆજથી ૧૭મી લોકસભાનું પ્રથમ સત્ર