નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો, છેલ્લા ૧૦ દિવસથી ગોરા બ્રિજ રાહદારીઓ માટે બંધ

394

નિર્માણ બાદ પ્રથમ વખત સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક જળ સપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચી ગયો હતો. જો કે, હાલ નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમની જળ સપાટી ઘટી છે. ઉપરવાસમાંથી અત્યારે ૨ લાખ ૬૦ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને લઇને નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૩૧ મીટરે પહોંચી ગઇ છે.

અત્યારે હાલ નર્મદા ડેમના ૧૬ દરવાજા જ ખુલ્લા મુકવામાં આવ્યા છે. તો બીજી તરફ આ દરવાજામાંથી ૨ લાખ ૬૦ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે કેવડિયા પાસે આવેલો ગોરા બ્રિજ છેલ્લા ૧૦ દિવસથી હજી પણ રાહદારીઓમાં ખોલવામાં આવ્યો નથી. જો કે, ઉપરવાસમાંથી પાણીની આવક થવાના કારણે ૧૭ સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ તેની ઐતિહાસિક જળ સપાટીએ પહોંચી ગયો હતો અને ૧૩૮.૬૮ મીટરની જળ સપાટીએ નર્મદાના નિર વહી રહ્યાં હતા. જો કે, ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ તેમના જન્મદિવસ પર ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદા નિરના વધામણા કર્યા હતા. ઐતિહાસિક સપાટીએ પહોંચેલા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ઘટાડો થયો છે.

ત્યારે ૧૩૮.૬૮ મીટરની જળ સપાટીએ પહોંચેલા નર્મદા ડેમની જળ સપાટીમાં ૩૭ સે.મીનો ઘટાડો નોંધાયો છે. જેને લઇ હાલ નર્મદા ડેમ ૧૩૮.૩૧ મીટરની જળ સપાટીએ પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, રાજયના ૧૫ જીલ્લાના ૭૩ તાલુકાના ૩૧૩૭ ગામોની ૧૮.૪૫ લાખ હેકટર જમીનને સિંચાઇનુ પાણી મળશે.

Previous articleદાહોદમાં કિન્નરોએ અર્ધનગ્ન હાલતમાં પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો
Next articleકોંગ્રેસના કાઉન્સિલર,સ્થાનિક લોકોએ પાણીની ટાંકી પર સામૂહિક સ્નાન કરી તંત્રનો વિરોધ કર્યો