BRTS આવ્યા બાદ માર્ગ દુર્ઘટનામાં નોંધપાત્ર વધારો

362

બીઆરટીએસ રુટ પર થઇ રહેલા અકસ્માતોના લીધે સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી બાજુ બુદ્ધિજીવી લોકો એમ પણ માની રહ્યા છે કે, બીઆરટીએસ રુટ અલગ બનાવવામાં આવ્યો હોવા છતાં તેમાં બેદરકારીપૂર્વક સામાન્ય વાહન ચાલકો ઘુસી જાય છે જેથી અકસ્માતોનો ખતરો વધી જાય છે. બીજી બાજુ વિરોધ કરનાર લોકોનું કહેવું છે કે, બીઆરટીએસ આવ્યા બાદથી જ અકસ્માતોનો સિલસિલો વધ્યો છે. અમદાવાદ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસની અડફેટે બે સગાભાઈના મોત નીપજ્વાની ઘટના બાદ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે. માત્ર અમદાવાદ અને સુરતમાં જ છેલ્લા બે દિવસમાં બીઆરટીએસ બસની ટક્કરથી છ નિર્દોષ વ્યકિતનો ભોગ લેવાઇ ગયો છે, જેને લઇ લોકોમાં જોરદાર આક્રોશ ભૂકી ઉઠયો છે. વાસ્તવમાં, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોની સુવિધા માટે બીઆરટીએસ બસની સુવિધા શરૂ કરાઇ છે પણ છેલ્લા કેટલાક સમયથી બેફામ ચાલતી બીઆરટીએસ બસથી અકસ્માતના પ્રમાણમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. બીઆરટીએસ કોરિડોર આવ્યા બાદ અકસ્માતમાં ૭૫ ટકાનો વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં બીઆરટીએસની અડફેટે કુલ ૨૧ના મોત થયા છે. આ અકસ્માત પાછળના મુખ્ય કારણોમાં ટ્રાફિક સાઇન પૂરતા પ્રમાણમાં નથી, પ્રતિબંધ હોવા છતાય લોકો બીઆરટીએસ કોરિડોરમાં પોતાના વાહનો પુરપાટ ઝડપે ચલાવતા હોય છે. બીઆરટીએસના પ્લાનીંગ મુજબ ઘણી જગ્યાએ ટ્રાફિક સાઇન,રેલિંગ અને તેની નીચે મૂકેલા બેરિકેડ્‌સ રોડ સાઇડ વધારે બહાર નીકળે છે, સાથે લોકો રોડ ક્રોસ કરવા માટે સીધા જ બીઆરટીએસના રૂટમાં જતા રહે છે. આ બધાં કારણોથી અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે.
સૌથી નોંધનીય વાત તો એ છે કે, બીઆરટીએસ કોરિડોર કે તેની આસપાસ કોઇપણ પ્રકારનું ચોકસાઇપૂર્વકનું કે અસરકારક ટ્રાફિક નિયમન કે સુરક્ષા કવચ જ નથી. જેના કારણે છાશવારે આવા અકસ્માતો સર્જાતા રહે છે અને ઘણીવાર આ પ્રકારની આજના જેવી કરૂણાંતિકા સર્જાય છે. અમદાવાદ શહેરમાં બેફામ ચાલતી બીઆરટીએસ બસથી અકસ્માતના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે હવે લોકોમાં ઉગ્ર આક્રોશ સામે આવી રહ્યો છે. ખાસ કરીને તાત્કાલિક ધોરણે બીઆરટીએસ કોરિડોર હટાવવા માંગ ઉઠી રહી છે.

Previous articleરાણપુર તાલુકામાં અતિવૃષ્ટિમાં થયેલા નુકશાન માટે ખેડૂતોએ ગાંધીનગરમાં મિટિંગ કરી રજૂઆત કરી
Next articleપાંજરાપોળ પાસે BRTSબસની અડફેટે બે સગા ભાઈના મોત થયા