સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજકોટ એરપોર્ટથી ૪૨ મુસાફરો સાથે ગોવાની ફ્લાઇટે ઉડાન ભરી

396

(જી.એન.એસ.)રાજકોટ,તા.૧૫
કોરોના મહામારીનો કહેર હળવો થતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવાઇ સેવામાં વધારા સાથે મુસાફરોનો ટ્રાફિક પણ વધવા લાગ્યો છે. સાથોસાથ રાજકોટ એરપોર્ટના એર ફ્રિકવન્સીમાં વધારો થવા લાગ્યો છે. આજથી સ્પાઈસ જેટની રાજકોટ-દિલ્હી, મુંબઈ, ગોવા, હૈદરાબાદ ફ્લાઈટ સેવાનો પ્રારંભ થતા દિવસભર ૬ ફ્લાઈટનું આગમન થશે. જેમાં સૌપ્રથમવાર ૪૨ મુસાફરો સાથે રાજકોટથી ગોવાની ફલાઈટ શરુ થતાં સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. આ ફ્લાઈટને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે લીલીઝંડી અપાઈ હતી. આજે રાજકોટ એરપોર્ટ ખાતે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાનાં હસ્તે રાજકોટ-ગોવાની ફ્લાઈટનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર સ્પાઈસ જેટ કંપનીની શરુ થયેલી આ રાજકોટ-ગોવા ફ્લાઈટમાં આજે ૪૨ મુસાફરોએ ઉડાન ભરી ગોવા પહોંચ્યા હતા. સેજ-૩૭૦૧ દિલ્હી-રાજકોટ-ગોવા ફ્લાઈટ બપોરે ૧ઃ૪૦ મિનીટે લેન્ડ થઈ હતી અને ૪૨ મુસાફરો સાથે ૨ કલાકે ગોવા જવા ટેક ઓફ થઈ હતી. આ ફ્લાઈટ ગોવાથી સાંજે ૧૭.૨૫ પરત ફરશે. આ ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર વોટર કેનનથી સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સ્વાગતની તૈયારી ચાલી રહી છે. એસઈજે ૩૭૫૦ ગોવા-રાજકોટ-હૈદરાબાદ ફ્લાઈટ ગોવાથી ઉપડી રાજકોટ એરપોર્ટ સાંજે ૧૭.૨૫ કલાકે લેન્ડ થશે અને ૧૭.૪૫ કલાકે હૈદરાબાદ જવા ટેક ઓફ થશે. સ્પાઈસ જેટની આજે સવારની રાજકોટ-મુંબઈ અને રાજકોટ-દિલ્હી ફ્લાઈટ ફુલ રહી હતી.

Previous articleભારતના બે ખિલાડીઓ બાદ થ્રોડાઉન નિષ્ણાંત દયાનંદ જારાની થયા કોરોના સંક્રમિત
Next articleભાવનગરમાં માસ્ક વગર બહાર ફરતા ભાવનગરવાસીઓ લાપરવાહ, દોઢ વર્ષમાં સાડા સાત કરોડનો દંડ વસૂલાયો