વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા આજે જુદા જુદા કાર્યક્રમો થશે

1472

પ્રદેશ ઉપાધ્યક્ષ આઇકે જાડેજાએ જણાવ્યુ હતુ કે, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી બાજપાઇજીનું તારીખ ૧૬ ઓગષ્ટના રોજ દુઃખદ્‌ અવસાન થયું છે. વિચક્ષણ બુધ્ધિ પ્રતિભા ધરાવનાર સ્વર્ગસ્થ અટલજી મહાન વક્તા, વિદ્વાન રાજનેતા, કવિહદયી તથા પ્રખર દેશપ્રેમી હતા. તેઓ કરોડો દેશવાસીઓના પ્રિય નેતા હતા. તેમના અવસાનથી દેશને પૂરી ના કરી શકાય તેવી ખોટ પડી છે. આવતીકાલે તારીખ ૨૧ ઓગષ્ટ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમ્યાન ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન હોલ ઓડિટોરિયમ (જીએમડીસી) અમદાવાદ ખાતે સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભા રાખવામાં આવેલ છે. જેમાં તમામ પાર્ટીના આગેવાનો/કાર્યકરો, સંતો-મહંતો, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ વેપારી એસોસીયેશનો, સાહિત્યકારો તેમજ તમામ સમાજ-વર્ગોના લોકોની ઉપસ્થિતિ પ્રાર્થનીય છે. તારીખ ૨૨ ઓગષ્ટના રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી દિલ્હીથી આદરણીય અટલજીના અસ્થિકુંભ લઇ અમદાવાદ એરપોર્ટ ખાતે બપોરે ૩.૦૦ કલાકે આવશે. જ્યાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી અસ્થિકુંભને પૂષ્પાંજલિ અર્પણ કરશે ત્યારબાદ ખાડિયા ગોલવાડ ભાજપા કાર્યાલયથી અસ્થિ વિસર્જન યાત્રા શરૂ થઇ ખાડિયા ગેટ-રાયપૂર ચકલા-છબીલા હનુમાન-રૂગનાથ પુરાની પીઠ-ખમાસા ચાર રસ્તા થઇ સાબરમતી રિવરફ્રન્ટ ટીળક ગાર્ડન પાસે પહોંચશે. જ્યાં સાબરમતી નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. આજ રીતે તારીખ ૨૫ ઓગષ્ટના રોજ સુરતની તાપી નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે જેમાં, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહેશે.

આજ રીતે રાજ્યના મંત્રીઓ તથા પ્રદેશ અગ્રણીઓ જુદી જુદી જગ્યાઓએ અસ્થિ વિસર્જન યાત્રામાં જોડાશે. તારીખ ૨૫ ઓગષ્ટના રોજ સોમનાથના ત્રિવેણી સંગમમાં તેમજ ૨૭ ઓગષ્ટના રોજ વડોદરાની મહી નદી, સિદ્ધપૂરની સરસ્વતી નદી તથા ભરૂચની નર્મદા નદીમાં આદરણીય અટલજીના અસ્થિ વિસર્જન કરવામાં આવશે. જાડેજાએ જણાવ્યુ હતુ કે, આગામી ૨૫ થી ૩૦ ઓગષ્ટ દરમ્યાન ગુજરાતના તમામ જીલ્લા મથકો તથા તાલુકા મથકોએ પણ સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન આદરણીય અટલજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા યોજાનાર સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહેવા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ગુજરાતની જનતાને અનુરોધ કર્યો છે.

Previous articleનર્મદા ડેમમાં સપાટી વધતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તેવી સંભાવના
Next articleકયાંય મંજૂરી ન મળે તો ઘરેથી ઉપવાસ કરવા હાર્દિકની તૈયારી