ભાવ.કોર્ટ સંકુલમાં મીડીયેશન સેન્ટરનો રવિવારથી થશે પ્રારંભ

955
bvn552018-6.jpg

ગુજરાત હાઈકોર્ટના બે વરીષ્ઠ ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિમાં આગામી છઠ્ઠી મેના રોજ ભાવનગર ન્યાયસંકુલમાં મીડીયેશન સેન્ટરના પ્રારંભ સાથે સિહોર ખાતે નાગરિક સુવિધાઓને લીગલ સર્વિસીઝ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ જે.જે. પંડ્યાએ આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે, નામદાર ન્યાયમૂર્તિ એમ.આર. શાહ અને ન્યાયમૂર્તિ સોનીયાબેન ગોકાણીની ઉપસ્થિતિમાં ભાવનગર ન્યાયસંકુલમાં મીડીયેશન સેન્ટરનું ઉદ્દઘાટન થનાર છે. મીડીયેશન સેન્ટર શરૂ થતા ત્વરીત ન્યાય ઈચ્છતા પક્ષકારોની સુવિધા વધશે અને કોઈ કડવાશ વગર પરસ્પર સમજણ અને સમજુતિથી વિવાદોના નિવેડા લાવવાનો સબળ મંચ ઉભો થશે.
કાનુની સહાયના વધી રહેલા વ્યાપને ધ્યાનમાં લઈને તે જ દિવસે આ વરીષ્ઠ ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિમાં સિહોર મુકામે નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવતી લીગલ સર્વિસીઝ અંગેની શિબિર પણ યોજાઈ રહી છે. જેમાં રેશનકાર્ડ, આધારકાર્ડ સહિતની ૩૦ વિવિધ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે તેમજ બેટી બચાવો અભિયાન અંગે માહિતી આપવામાં આવશે.
અદના ઈન્સાન સુધી ન્યાય અને સેવા પહોંચતી કરવાના અભિગમ સાથે કાર્યરત કાનુની સેવા સત્તા મંડળના આ આયોજનોમાં જાહેર જનતા સક્રિય રસ લઈ સુવિધાઓનો લાભ ઉઠાવશે તેવી પણ જે.જે. પંડ્યાએ અપેક્ષા વ્યક્ત કરી હતી.

Previous articleસફાઈ કામદારો સૈનિક જેવુ કામ કરે છે : મેયર નિમુબેન
Next articleચોરીના ગુનામાં ફરાર શાહરૂખને ઝડપી લીધો