DRMએ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને સત્ય નિષ્ઠાના શપથ લેવડાવ્યા
ભાવનગર રેલવે ડિવિઝન પર ખાસ કરીને રેલવે કર્મચારીઓમાં પ્રામાણિકતા અને પારદર્શિતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે 26 ઓક્ટોબર 2021 થી 01 નવેમ્બર 2021 દરમિયાન “સતર્કતા જાગરૂકતા સપ્તાહ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના સતર્કતા જાગરૂકતા સપ્તાહની થીમ “સત્યનિષ્ઠા – આત્મનિર્ભર ભારતની કુંજી” છે. સતર્કતા જાગરૂકતા સપ્તાહ અંતર્ગત ભ્રષ્ટાચાર સામે લડવાની ઇચ્છા અને સંકલ્પને દૃઢ કરવાનો અને સામાન્ય માણસના જીવનમાં પ્રામાણિકતાને પ્રોત્સાહિત કરવાનો છે. ભાવનગર ડિવિઝન ખાતે 26 ઓક્ટોબરને મંગળવારના રોજ કાર્મિક વિભાગ દ્વારા આ સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત, સતર્કતા જાગરૂકતા સપ્તાહના પ્રથમ દિવસે આજે મંગળવારના રોજ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલ દ્વારા સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં ડીવિઝનલ કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રમાણિકતા અને પારદર્શિતાના શપથ લીધા હતા. આ સપ્તાહ દરમિયાન રેલ્વે કર્મચારીઓ માટે નિબંધ લેખન અને ઘોષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.