ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં ઉભરાતી ગટરોના પગલે સ્થાનિક લોકોનું જીવન દુષ્કર બન્યું

94

જવાબદાર તંત્રના બહેરા કાને લોકોની રાવ બેઅસર
સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

ભાવનગર શહેરના પછાત એવાં મોતીતળાવ વિસ્તારમાં લાંબા સમયથી ઉભરાતી ગટરોની ગંદકીને પગલે સ્થાનિકોને જીવન જીવવું દુષ્કર થઈ પડ્યું છે. આવી ગંભીર સમસ્યાને સત્તાધીશો દ્વારા સતત નજર અંદાજ કરાતા લોકરોષ ભભૂકી ઉઠ્યો છે અને સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. શહેરના કુંભારવાડા,હાદાનગર મોતીતળાવ સહિતના પછાત વિસ્તારોમાં પીવાના પાણી, ડ્રેનેજ સાથે સાફસફાઈ સહિતની પાયાકીય સવલતો અંગેની સમસ્યાઓ બારેમાસ સળગતી રહે છે. આ પછાત વિસ્તારના લોકો રાજકીય પક્ષોના નેતાઓ માટે માત્ર વોટબેંક થી વિશેષ કંઈ જ મહત્તા ન ધરાવતા હોય એવું સમસ્યાઓ પરથી લાગી રહ્યું છે. શહેરના મોતીતળાવ વિસ્તારની અહીં આવેલ શેરી નં-4 માં છેલ્લા એક માસથી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રોડપર 24 કલાક વહી રહ્યાં છે ગટરના દુર્ગંધયુક્ત પાણી વચ્ચે પસાર થવું તો ઠીક પણ 24 કલાક આ નર્ક સમી યાતના વચ્ચે રહેવું કઈ રીતે ? આ સમસ્યા અંગે સ્થાનિકોએ વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી છે પરંતુ આજદિન સુધી સમસ્યા ઉકેલ માટે તંત્ર એ કોઈ જ પગલાં લીધા નથી જેને પગલે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને ચિમકી ઉચ્ચારી છે કે આવનાર દિવસોમાં આ સમસ્યાનું કાયમી ધોરણે સમાધાન નહીં આવે તો ઉગ્ર અનશન ના મંડાણ મંડાશે.

Previous articleસિહોર તાલુકાના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજાયો
Next articleભાવનગર મહાનગરપાલિકાની કચેરીનું 52 લાખના ખર્ચે નવીનીકરણ કરવામા આવશે