“ચટાકેદાર દેશી આહાર”નો આયુર્વેદિક ઉપયોગ ભાવનગરીઓ જ કરી શકે…?!!

72

“સેવ ઉસળ” શરદી-વાઈરલ ઈન્ફેક્શન સાથે કફ પ્રકોપ સામે ફેવરિટ ફૂડ કમ ઔષધ તરીકે પ્રખ્યાત
આપણે ત્યાં સામાન્યતઃ શારીરિક અસ્વસ્થતાના સમયે તબિબો વડીલો ખાન-પાનમાં પરેજી પાળવા સાથે ઉચિત ઔષધની ભલામણ કરતાં હોય છે પરંતુ સ્વાદના શોખીન ભાવનગરીઓ કફ જન્ય ઉપદ્રવ સમયે સ્વાદિષ્ટ અને ટેસ્ટફૂલ આહાર એવાં “સેવ ઉસળ”ની ભલામણ કરે છે ! ખરેખર આ વાત ભાવનગરી સિવાય કોઈ બીજા મલકના માણસને માન્યામાં ન આવે પરંતુ આ સત્ય-સનાતન વાત છે. ગોહિલવાડીઓ આદિકાળથી સ્વાદિષ્ટ વિવિધ વ્યંજનોના શોખીન માનવામાં આવે છે ભાવનગર શહેર એટલે ભૂંગળા-બટેટાથી લઈને અને ગાંઠિયા-બટેટા સહિતની વાનીઓ બનાવવા તથા ખાવામાં અવ્વલ ગણાય છે ભાવનગર શહેરમાં આજકાલ કોરોના મહામારીની ત્રીજી લહેર બેફામ બની છે એ સાથે શિયાળાની સિઝનને પગલે લોકો વાઈરલ ઈન્ફેક્શનનો વધુને વધુ ભોગ બની રહ્યાં છે જયારે લોકો કફની વ્યાધિથી કંટાળી દવા લે અને આયુર્વેદિક ઉપચાર પણ અપનાવે છતાં પણ કફ પ્રકોપમા રાહત ન મળે ત્યારે અનુભવી ભાવનગરીઓ એક વિશેષ પથ્ય-આહારનું શરણું લેતાં હોય છે આમ તો આ આહાર દેશી ફાસ્ટફૂડની વ્યાખ્યામાં આવે છે પરંતુ ભેજાબાજ ભાવનગરીઓએ આ ચટાકેદાર વાનીનો અનોખો ઉપયોગ શોધી કાઢ્યો છે ભાવનગરમાં આજે પણ એવું કહેવાય છે કે જે વ્યક્તિના શરીરમાં કફનો પ્રમાણ વધુ હોય દવાથી ખાસ ફર્ક ન પડતો હોય ત્યારે આ દર્દીને સેવ ઉસળ આપવામાં આવે તો ગમે તેવો કફ દૂર થઈ જાય છે ! આ વાત ખરેખર માન્યામાં આવે એવી નથી પરંતુ હાલમાં શહેરમાં સેવ ઉસળના મેઈન પોંઈન્ટ એવા ખારગેટ વિસ્તારમાં ઢળતી સાંજે કોઈ વ્યક્તિ જાય તો કતારબંધ ઉભેલી અનેક સેવ ઉસળ ની લારીઓ પર ચિક્કાર ભીડ જોવા મળશે આ લોકો સેવ ઉસળ સ્વાદ અને દવા બંને રીતે આરોગે છે સેવ ઉસળ આ વાનીમાં ભરપૂર માત્રામાં મરીમસાલા સાથે ગરમી પ્રદાન કરતો આહાર ગણવામાં આવે છે પરીણામે સેવ ઉસળ ખાનાર વ્યક્તિને કફ માથી મુક્તિ મળે છે એવું કહેવાય છે હા ગરમ તાસીર ધરાવતા લોકો માટે આ વાનગી જરા પણ ઉચિત નથી પરંતુ હાલમાં કફનો વાયરો હોય ઢળતી સાંજે ખારગેટ ચોકમાં લોકોની ભારે ભીડ ઉમટે છે.
દરરોજ ભાવનગરીઓ પોણા લાખનું સેવ ઉસળ ઝાપટી જાય છે
શહેરમાં સેવ ઉસળનુ વેચાણ અલગ અલગ ઘણાં વિસ્તારોમાં થાય છે વહેલી સવારે અને મોડી સાંજે સેવ ઉસળના વિક્રેતાઓ લારીઓ માં વિવિધ પ્રકારની ચટણીઓ સાથે સેવ ઉસળ લઈને વેચાણ અર્થે નિકળે છે ઘોઘાસર્કલ સંતકંવરરામ ચોક આંબાચોક અને ખારગેટ ખાતે સેવ ઉસળનુ વેચાણ થાય છે પરંતુ લોકો ની માનીતી જગ્યા ખારગેટ છે અહીં દરરોજ ૧૦ થી વધુ લારીઓ માં સેવ ઉસળ નું વેચાણ થાય છે છેલ્લા ૩૫ વર્ષથી સેવ ઉસળના વ્યવસાય સાથે સંકળાયેલ એક પ્રખ્યાત સેવ ઉસળના વેપારી એ જણાવ્યું હતું કે ઠંડી ની સિઝનમાં દરરોજ ભાવનગરમાં ૭૦ થી ૭૫ હજાર રૂપિયા નું સેવ ઉસળ લોકો આરોગી જાય છે શનિ-રવિ ની રજામાં વેચાણ ડબ્બલ થઈ જાય છે આ ફૂડ દરેક વ્યક્તિ ઓને પસંદ પડે છે સેવ ઉસળની એક ડીસ રૂપિયા ૩૦ થી લઈને ૧૨૦ રૂપિયા સુધીની બને છે શહેરમાં સેવ ઉસળનુ વેચાણ બારેમાસ થાય છે પરંતુ સૌથી વધુ ડિમાન્ડ શિયાળામાં જ રહે છે વ્યવસાય અગર અન્ય કારણોસર ભાવનગર થી બહાર અન્ય શહેરો કે પરપ્રાંત માં સ્થાયી થયેલા મૂળ નિવાસી ભાવનગરીઓ વતન આવ્યે સેવ ઉસળનો ટેસ્ટ લેવાનું ચુકતા નથી…!

Previous articleશહેરના વરતેજ નજીકની જીઆઈડીસીમાં આવેલ ઓઇલ કંપનીમાં ભીષણ આગ
Next articleડ્રાઈવર-કંડક્ટર ઉપર ઓનડયૂટી હુમલા વધ્યા, કર્મચારી ભયભીત