સુર્યકુમારની ૩૫, ઐયરની ૨૦૩ સ્થાનની છલાંગ

69

દુબઈ, તા.૨૫
ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડરના બેટર સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ ઐય્યરને બુધવારે મોટો ફાયદો થયો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ત્રણ ટી૨૦ મેચની સીરિઝમાં ધમાકેદાર પ્રદર્શન કરવા બદલ આઈસીસી મેન્સ ટી૨૦ રેન્કિંગમાં બંને બેટરને ફાયદો થયો છે. સૂર્યકુમાર ૨૧માં અને ઐય્યર ૧૧૫માં સ્થાને આવી ગયો છે. બંને બેટર માટે આ સીરિઝ શાનદાર રહી હતી અને રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે વેસ્ટ ઈન્ડિઝને ૩-૦થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ સીરિઝમાં સૂર્યકુમાર ભારત માટે સૌથી વધુ રન નોંધાવનારો બેટર રહ્યો હતો જ્યારે બીજા ક્રમે ઐય્યર રહ્યો હતો. પોતાના આ પ્રદર્શનથી સૂર્યકુમારને ૩૫ સ્થાનનો ફાયદો થયો હતો અને તે ૨૧માં ક્રમે આવી ગયો છે. જ્યારે ઐય્યરે ૨૦૩ સ્થાનની મોટી છલાંગ લગાવી છે અને તેણે ૧૧૫માં ક્રમે આવી ગયો છે. જોકે, લોકેશ રાહુલને બે સ્થાનનું નુકસાન થયું છે અને તે છઠ્ઠા ક્રમે આવી ગયો છે. વિરાટ કોહલી બેટર્સની યાદીમાં ૧૦માં ક્રમે યથાવત છે. બોલર્સ અને ઓલ-રાઉન્ડર્સની યાદીમાં એક પણ ભારતીય ખેલાડી સામેલ નથી.ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના નવનિયુક્ત સુકાની રોહિત શર્માએ પોતાનું છઠ્ઠું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે કોહલી એક સ્થાનના નુકસાન સાથે સાતમાં ક્રમે પહોંચ્યો છે. બોલર્સ રેન્કિંગમાં ટોપ-૧૦માં બે ભારતીય બોલર સામેલ છે. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન બીજા ક્રમે છે જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ૧૦માં ક્રમે છે. ઓલ-રાઉન્ડર્સની યાદીમાં રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે જ્યારે રવિન્દ્ર જાડેજા ત્રીજા ક્રમે છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ધમાકેદાર પ્રદર્શન કરનારો સૂર્યુકુમાર યાદવ ઈજાના કારણે શ્રીલંકા સામે રમાનારી ટી૨૦ શ્રેણીમાં રમી શકશે નહીં. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અંતિમ ટી૨૦ દરમિયાન સૂર્યકુમારને હેરલાઈન ક્રેક થઈ હતી જેના કારણે તે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. આ ઉપરાંત ઝડપી બોલર દીપક ચહર પણ હેમસ્ટ્રિંગની ઈજાના કારણે શ્રીલંકા સામે ટી૨૦ સીરિઝમાં રમી શકશે નહીં.

Previous articleનાનપણમાં રણબિર સાથે લગ્નનું વિચાર્યું હતું : આલિયા
Next articleઆજ નહીં તો કભી નહીં:- ભક્ત પ્રકાશ (વચનામૃત : જીવન માર્ગદર્શક )