યુક્રેનના યુદ્ધમાં અસર પામેલા ભારતીયોને સંવેદનારૂપે સવા કરોડની મદદ મોકલતા મોરારિબાપુ

76

બે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે. તાજતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં પૂજ્ય મોરારિબાપુએ જણાવ્યું હતું કે તેમની વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન બની રહે પરંતુ રચનાત્મક પણ બને. અને એથી યુક્રેનના યુદ્ધમાં જે ભારતીય અને અન્ય લોકોને અસર થઇ છે તેમના માટે રૂપિયા સવા કરોડની સહાયતા રાશી અર્પણ કરવાની પહેલ તેમણે એ રામકથા દરમ્યાન કરી હતી. આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને ભારત સરકાર ‘મિશન ગંગા’ હેઠળ યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ઉત્તમ કાર્ય કરે છે. પૂજ્ય મોરારિબાપુએ પણ આ કાર્યમાં વ્યાસપીઠ તરફથી ગંગાજળનાં થોડા બુંદ અર્પણ કર્યા છે. અયોધ્યામાં નિર્માણ પામનાર શ્રી રામમંદિર માટે અનુદાન આપવાની પૂજ્ય બાપુએ અપીલ કરી હતી અને એ નિમિત્તે શ્રોતાઓ દ્વારા રૂપિયા 19 કરોડની રાશી એકત્ર થઈ હતી જે પૈકી 9 કરોડ રૂપિયા વિદેશી શ્રોતાઓનું અનુદાન હતું. લંડન સ્થિત લોર્ડ ડોલરભાઈ પોપટ અને તેમના પુત્ર પાવન પોપટ દ્વારા આ રાશિમાંથી સવાકરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી 10 સંસ્થાઓને પહોંચાડવામાં આવ્યા છે. આ સંસ્થાઓ યુક્રેન યુધ્ધના અસરગ્રસ્તોનાં ઈવેકયુએસનમાં, તેમને નિવાસ અને ભોજન આપવામાં, મેડીકલ સુવિધા આપવા જેવા અનેક કાર્યોમાં કાર્યરત છે. વસુધૈવ કુટુંબકમની ભાવના અનુસાર ભારતીય અસરગ્રસ્તો અને અન્ય ધર્મ કે જાતિના હોય તેવા પીડિત લોકો માટે પણ આવશ્યકતા અનુસાર આ રકમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે દેશો વચ્ચેના સંઘર્ષનો ઝડપથી અંત આવે અને આ દુ:ખદ પરિસ્થિતમાં જેમણે પ્રાણ ગુમાવ્યા છે તેવા લોકો માટે એમણે પ્રાર્થના કરી છે.

Previous article16મી માર્ચે ભાવનગર ટર્મિનસથી ઉપડતી “હોળી સ્પેશિયલ” ટ્રેનના સમયમાં ફેરફાર
Next articleધારાસભ્ય વંશનું સસ્પેન્શન તત્કાળ રદ્દ કરવા ભાવનગર શહેર કોંગ્રેસ OBC ડીપાર્ટમેન્ટ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું