પ્રશાંત તુમ આગે બઢો સભી (ભ્રષ્ટાચારી)તુમ્હારે સાથ હૈ!!!

58

માણસને એક વાતનું કન્ફયુઝન રહે છે. હદયમાં ડચુરો બાઝેલો રહે છે. હું પત્ની કે પ્રેમિકા વચ્ચે પીસાતા પુરૂષની વાત કરતો નથી. પત્નીના બેડરૂમમાં બેસીને પ્રેમિકાને પત્ર લખવાની ધૃષ્ટતાની વાત નથી. સિગારેટ પીતાં પીતાં નો સ્મોકિંગના ફલેકસ બેનર બનાવવાની વાત નથી! શેરબજારમા લગડી સ્ક્રિપ્ટોમાં રોકાણ કરીને રાતા પાણીએ રોવાની વાત નથી.
આ સીનની ઘણાને જાણ હશે. એક બાજુ ગુરૂ ઉભા હોય અને બીજી બાજુ ગોવિંદ ઊભા હોય. બંનેમાંથી કોના ચરણમાં શીશ નમાવી સાષ્ટાંગ દંડવત કરવા તેની મીઠી મુંઝવણ હોય. ફીફટીનો સવાલ હોય!! વ્યકિત પછી ગુરૂના ચરણમાં લેટી જાય છે. કેમ કે, ગુરૂની કૃપાથી ગોવિંદ મળે છે. ગોવિંદની કૃપાથી ગુરૂં મળતા નથી.
આપણે ત્યાં ગુરૂં પૂજનીય છે. દેવો અને દાનવોમાં પણ ગુરૂ સમાન રીતે પૂજનીય છે.!!અલબત, કાળા કારનામાના લીધે આશારામ કે રામ રહીમ જેવા ગુરૂમાંથી ગુરૂઘંટાલ નીવડે છે, તે વાત અલગ છે.
આદિકાળથી જેમના ચરણોમાં રાજા-મહારાજા, સમ્રાટો પડતા હતા તેવા ગુરૂઓની આવક સુદના ચંદ્રની જેવી હતી. કોઇ પણની આવક આવકવેરો ભરવા જેટલી કે રિટર્ન ફાઇલ કરવા જેવી ન હતી. એમની આર્થિક અવદશા ધ્યાને લઇને કદી આઇટી કે ઇડીની રેડ પડી ન હતી. ઉલ્ટાનુ્‌ પાંડવ-કૌરવના ફેમિલી ટીચર એવા ગુરૂ દ્રૌણાચાર્ય દીકરા અશ્વત્થામા માટે દૂધની વ્યવસ્થા કરવામાં અસમર્થ હતા. તેમની પાસે બીપીએલ કાર્ડ પણ ન હતું અને દૂધ સંજીવની જેવી યોજના અમલમાં ન હોઇ પાણીમાં લોટ નાંખીને આભાસી દૂધ કે દૂધતુલ્ય પેય પીવડાવતા હતા. ક્યારેક દૂધ મળશે એ આશાએ અશ્વત્થામા ચિરંજીવી બનીને દૂધની ડેરી આસપાસ સમય કસમય ભટકે છે!!!
શિક્ષકો મહેતાજી, માસ્તરજી, ગુરૂજી,ગુરુદેવ( ખાનદાનમાં મહેતુસ અને પંતુજી) તરીકે ઓળખાય છે. લોકો શિક્ષકને ચાવી દીધેલ રમકડું સમજે છે!! સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરૂ ચાણક્યે તો કહ દીધું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા , અસાધારણ હોતા હૈ. ચડ જા બેટા શૂલીપેં લે પ્રભુકા નામ!!!
વિધા સહાયક, પ્રવાસી શિક્ષકના રૂપકડા નામે ન્યુનતમ વેતન કરતાં ઓછું વેતન અને ખુલ્લા આકાશમાં-ધરાર પ્રકૃતિના ખોળે
ઠંડી, ગરમી, વરસાદમાં દેશના ભવિષ્યને આકાર આપે છે.દેશના નિરાકાર ભાવિને સાકાર કરે છે!
માસ્તર એટલે ખાદીના કપડાં, દોરી લબડાવેલા ચશ્મા, ચહેરા પર દીનતાનું લીંપણ કરેલ હોય, ખભે ગોઠણ સુધી લબડતો થેલો હોય, પગમાં સાદી ચંપલ હોય. ભાભીજી ઘર પર હૈ સિરિયલના શિક્ષક પાત્રની જેમ વારંવાર” સંસ્કાર નામકી કોઇ ચીજ હૈ કે નહીં” નું રટણ કરતો હોય એવું હવે નથી.
મામાના મધ્યપ્રદેશમાં ભાણિયા સેવબળે, આપમેળે, સ્ટાર્ટઅપ, ઇનોવેટીવ, મેઇક ઇન ઇન્ડિયા , આત્મનિર્ભરનો લાભ લઇ બે પાંદડે થયા છે એમપી રાજ્યના પનોતી પુત્ર પ્રશાત પરમાર આમ તો શીક્ષણ સહાયક છે. ગ્વાલિયર જિલ્લાના ઘાટીગામ બ્લોક સ્થિત સરકારી શાળામાં પ્રશાંત પરમાર સહાયક શિક્ષક તરીકે કાર્યરત છે. પગાર સિતેર- પંચોતેર હજાર રૂપરડી હશે. પ્રશાંતના નાનકડા હૈયામાં હામ ભરેલી છે. મન હોય માળવે નહીં પણ ભોપાલ જવાય ઉક્તિ ચરિતાર્થ કરી છે!! દઢ ઇચ્છાશક્તિ , મનોબળ અને પહાડને ધૂળમાં ફેરવવાની સાહસવૃત્તિ તેમ જ મા લક્ષ્મી અને સરસ્વતીની અસીમ અને નિસીમ કૃપાથીમાત્ર આઠ ખાનગી શાળાઓ અને અનેક કોલેજોના માલિક છે. પ્રશાંત ગ્વાલિયરના સૌથી પોશ વિસ્તારમાં એક ફ્લેટમાં રહે છે. ઘરનું ઈન્ટિરિયર જોઈને જ અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ હતી. ફ્લેટમાં ઈન્ટિરિયર પાછળ લાખો રુપિયા ખર્ચવામાં આવ્યા છે. આ સાથે જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્રશાંતની ચાર ઓફિસ છે. તે મૂળ રુપે રાજસ્થાની છે. તેના ઘરેથી કરોડો રુપિયાની જમીનના કાગળ મળી આવ્યા છે. શનિવારે સવારે આ શિક્ષકના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન તેમના ઘરમાંથી ૫.૯૦ લાખ રૂપિયા,૨.૨૫ કરોડ રુપિયાની જમીનના દસ્તાવેજ ,૩૬ લાખ રુપિયાના ઘરેણાં પણ મળી આવ્યા છે.
પ્રશાંત પરમાર મૂળ રાજસ્થાનના રહેવાસી છે. તેમની વર્ષ ૨૦૦૬માં શિક્ષણ વિભાગમાં ક્લાસ ૩ આસિસ્ટન્ટ શિક્ષક તરીકે નિમણૂક થઈ હતી. ૧૬ વર્ષની નોકરીમાં કુલ ૨૦ લાખ રુપિયાની કમાણી પગારથી થઈ છે. પરંતુ તેમની સંપત્તિ કરોડોમાં છે. વર્ષ ૨૦૦૮માં તેમણે શિક્ષણ ક્ષેત્રમાં વેપાર શરુ કર્યો હતો. દરોડાની શંકા પ્રશાંતને પહેલાથી જ થઈ ગઈ હતી, માટે તે અત્યારે ફરાર છે. તેમના વિરુદ્ધ ર્ઈંઉને અનેક ફરિયાદ મળી હતી. આ ફરિયાદોની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
આવો જ બીજો કિસ્સો મધ્યપ્રદેશની આંગણવાડી મહિલા કાર્યકર્તાનો છે. મહિલા દ્વારા અત્યાર સુધી પોતાના વેતનમાંથી માત્ર ૧૨ લાખ ૭૦ હજાર રૂપિયા કમાણી કરી છે. પરંતુ, તેની પાસે ૪૩ લાખ ૭૦૦ રૂપિયાની પ્રોપર્ટી મળી આવી. મધ્યપ્રદેશના ગ્વાલિયરની લોકાયુક્તની ટીમે શ્યોપુર શહેરની આંગણવાડી કાર્યકર્તાના ઘરે દરોડો માર્યો. કાર્યવાહી દરમિયાન કાર્યકર્તાના ઘરે આવક કરતા ૩૦ લાખ વધારે સંપત્તિ મળી આવી છે. ટીમે આરોપી મહિલા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશમાં પન્નામાં હીરા મોતીની ખાણો છે. એક સનદી જોશી દંપતી પાસેથી સાડા ત્રણસો કરોડની ગેરકાયદે સંપતિ પકડાવેલી હતી.મામા હૈ તો મુમકિન હૈ!
પ્રશાંત નામ જેવા ગુણો ધરાવે છે. એકદમ યંગ અને ડાયનેમિક છે. ભ્રષ્ટાચારની મુખ્ય ધારાથી તો ઘણો પાછળ છે. મુખ્ય પ્રવાહ અને ધારામાં સામેલ થવા કઠોર પરિશ્રમ કરવા અને પરસેવો વહાવવાની જરૂર છે. ભ્રષ્ટાચારનો યુથ આઇકોન અને બ્રાંડ એમ્બેસેડર બને તેવી શુભેચ્છા!!
પ્રશાંત તુમ આગે બઢો સભી (ભ્રષ્ટાચારી)તુમ્હારે સાથ હૈ!!!
– ભરત વૈષ્ણવ

Previous articleઆઈપીએલમાં કોલકાતા સામે બેંગલોરનો વિજય
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે