ભાવનગરના નવાબંદર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનું ખાતમુહૂર્ત આ વર્ષના અંત સુધીમાં

82

ભાવનગરના નવાબંદર ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌ પ્રથમ CNG ટર્મિનલ આકાર લેવા જઇ રહ્યું છે. ૧૯૦૦ કરોડના આ સંપૂર્ણ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે ૬૫૦ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આ વર્ષના અંત સુધીમાં કરવામાં આવશે, અને આ પ્રોજેક્ટના અમલીકરણ બાદ ભાવનગર જિલ્લાની કાયાપલટ પણ થશે, આ CNG ટર્મિનલ સ્થાપવા ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી. નામની પેઢીની પણ સ્થાપના કરવામાં આવી છે. આ પોર્ટ ઉત્તર ભારત અને મધ્ય ભારતનું સૌથી નજીકનું બંદર છે, ઉપરાંત ધોલેરા સરથી પણ નજીક હોય તમામ દ્રષ્ટિએ આ ઝ્રદ્ગય્ ટર્મિનલ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ભાવનગરનો જ્યારે જ્યારે સમુદ્રી વિકાસ થયો છે, ત્યારે ત્યારે ભાવનગર જિલ્લાના વિકાસના દ્વાર ખુલતા ગયા છે, તેમજ લાંબા ગાળાની આર્થિક સમૃદ્ધિ આવી છે. અલંગ શિપ રિસાઈકલિંગ ઉદ્યોગ ભાવનગર જિલ્લામાં આર્થિક સમૃદ્ધિઓ લાવ્યું છે. ત્યારે હવે ભાવનગરના નવા બંદર ખાતે દુનિયાનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ બનવા જઈ રહ્યું છે, તેમજ એ માટેના તમામ પરીક્ષણો પણ પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં પ્રોજેક્ટના ખાતમૂહૂર્તની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સીએનજી ટર્મિનલ માટે લંડનના ફોરસાઈટ ગ્રુપ, મુંબઈના પદ્મનાભ મફતલાલ ગ્રુપ અને નેધરલેન્ડના રોયલ બોસ્કાલિસ ગ્રુપ દ્વારા ભાવનગર ખાતે વિશ્વનું સૌ પ્રથમ સીએનજી ટર્મિનલ સ્થાપવા ભાવનગર પોર્ટ ઈન્ફાસ્ટ્રક્ટર પ્રાઈવેટ લિમિટેડ નામની પેઢીની સ્થાપના કરી દેવામાં આવી છે. જેમાં ભાવનગરના નવાબંદરના નોર્થક્વે વિસ્તારમાં મલ્ટિફંકશનલ પોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા લેટર ઓફ ઇન્ટરનેટ પણ આપી દેવામાં આવ્યો છે, સાથે ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ ૧ ની પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે. સીએનજી ટર્મિનલની કામગીરી શરૂ કરવા પૂર્વે અનેક પ્રકારના અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. જે માટે ટૂંક સમય પહેલા દરિયાની ભરતી અને મોજા અંગે ટેકનિકલ સર્વે કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં થઈ જવાની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. પરંતુ અગાઉ ભાવનગરમાં શરૂ થયેલા પ્રોજેક્ટના અંતિમ તબક્કામાં અનેક પ્રશ્નો ઉભા થયા છે એ રીતે આ પ્રોજેક્ટમાં ના થાય એ તકેદારી સાથે શરૂ કરાય એ પણ જરૂરી છે. કુલ ૧૯૦૦ કરોડ રૂપિયાનો સીએનજી ટર્મિનલ પ્રોજેક્ટ છે, જે પૈકી પ્રથમ તબક્કામાં ૬૫૦ કરોડ રૂપિયાના કામ હાથ ધરવામાં આવશે, ભાવનગરના નવાબંદર ખાતે પાણી અને વીજળી ઉપલબ્ધ છે. ગુજરાત સરકાર અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા ખાનગી કંપનીના માધ્યમથી સૌપ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટનું આયોજન ભાવનગર ખાતે હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ શરૂ થતાં તેને સંલગ્ન અનેક વેપાર ઉદ્યોગો ભાવનગરમાં કાર્યરત થશે, જેના કારણે હજારો લોકોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. ભાવનગરના વિકાસ માટે આ પ્રોજેક્ટ અગત્યનો છે, કારણ કે સમગ્ર વિશ્વમાં સીએનજીનો ઇંધણ તરીકે વ્યાપક પણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને સીએનજીની આયાત કરવા માટે પોર્ટની ખૂબ જરૂરિયાત રહે છે. જેમાં સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતનું સૌથી નજીકનું બંદર ભાવનગર છે. ઉપરાંત ધોલેરા ખાતે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (સર) આકાર લઈ રહ્યું છે. જેથી આ તમામ દ્રષ્ટિએ નવાબંદર ખાતે આકાર લેનાર સીએનજી ટર્મિનલ ભાવનગર માટે સૌથી મહત્વનું સાબિત થઈ શકશે.

Previous articleડિસ્ટ્રિક્ટ જજ વાચ્છાણીએ ૨૫ માસમા ૭૮ કેસમા ચુકાદા આપ્યા
Next articleહિન્દુ-મુસ્લિમની વચ્ચે ઝૈર ઘોળી પોતાના અંગત સ્વાર્થ લેતા લોકોને લપડાક