S.T. બસમાં આગના બનાવમાં બેદરકાર ત્રણ કર્મચારી સસ્પેન્ડ

12

વિભાગીય નિયામક એ.કે. પરમારે તાકિદના ધોરણે પગલા ભર્યાં : બસમાં યાંત્રિક ખામી હોવા છતાં યોગ્ય રિપેરીંગ નહીં કરી સબ સલામત હોવાનું કહી દીધુ હતું
ભાવનગરના તળાજા એસ.ટી. ડેપોના વર્કશોપમાં રવિવારે એક મિની બસમાં આગ લાગી હતી જેના પગલે બાજુમાં પડેલી અન્ય બસ પણ લપેટમાં આવી હતી. બે બસમાં આગ લાગવાથી એસ.ટી. તંત્રને લાખોનું નુકશાન થયું છે. આ મામલે વિભાગીય નિયામક એ.કે. પરમારે તાકીદના ધોરણે પગલા લઇ મિકેનીક વિભાગના ત્રણ કર્મચારીઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડનું ગડગડીયુ પકડાવી દેતા કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. તળાજા એસ.ટી. ડેપોના વર્કશોપમાં મીની બસ નં.જીજે-૧૮-ઝેડ-૩૯૦૨ પાર્ક કરેલી હતી ત્યારે આગની ઘટના બની હતી. જેના પગલે બાજુમાં પાર્ક કરેલી અન્ય બસ જીજે-૧૮-ઝેડ-૬૯૨ જે મહુવા ડેપોની હતી આ બસ પણ આગની લપેટમાં આવી જતા નિગમને મોટી રકમનું નુકશાન થયું છે. આ બનાવમાં ભાવનગર એસ.ટી. વિભાગીય નિયામક એ.કે. પરમાર દ્વારા કડક કાર્યવાહી કરીને તળાજા ડેપોમાં હેડ મિકેનીક તરીકે ફરજ બજાવતા માલાભાઇ શામળભાઇ ચાવડા તથા અન્ય કર્મચારીમાં ભરતભાઇ દેવજીભાઇ ડાભી અને ગુણવંતસિંહ આર. ચુડાસમાએ યોગ્ય ચકાસણી અને પુરતી મરામત ન કર્યાનું ઉંડાણપૂર્વકની તપાસમાં બહાર આવતા ત્રણેય કર્મચારીઓને અન્ય નવો હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. તળાજા-મહુવા રૂટ પરની મીની બસમાં ઓવરહીટ થવા અંગે ગત ૧લી જુલાઇના જ ડ્રાઇવરે ફરિયાદ કરી હતી પરંતુ જવાબદાર કર્મચારીઓએ સંપૂર્ણ ચકાસણી અને રિપેરીંગ કામ કર્યાં વિના બેદરકારી દાખવીને સબ સલામત હોવાનું જણાવી દીધું હતું જેના કારણે આ આગની ઘટના બની હોવાનું માનવું છે. સદ્‌નસીબે આ ઘટના વખતે બસ ઓન રોડ ન હતી આ કારણે પેસેન્જરો પણ ન હતા અન્યથા જે બિના બની હોત તે કલ્પવી જ રહી !
કર્મચારીઓને સસ્પેન્ડ કરી બોટાદ, ગઢડા અને પાલિતાણા મુકાયા
સસ્પેન્ડ થયેલા હેડ મીકેનીક માલાભાઇ ચાવડાને બોટાદ ડેપોના કેન્દ્રીય વ્યવસ્થાપક, આર્ટ એ મિકેનીક ભરતભાઇ ડાભીને ગઢડા એસ.ટી. ડેપોના કેન્દ્રીય વ્યવસ્થાપક સમક્ષ અને વ્હીકલ એક્ઝામીનર ગુણવંતસિંહ ચુડાસમાને પાલિતાણા ડેપોના કેન્દ્રીય વ્યવસ્થાપક સમક્ષ કામકાજના સમય દરમિયાન હાજરી પુરાવવી તેમજ પરવાનગી વગર હેડ ક્વાર્ટર ન છોડવા પણ આદેશ કરાયો છે.

Previous articleભાવનગરમાં ગોરંભાયેલા વાદળો વરસ્યા નહીં
Next articleભાવનગરના કુંભારવાડામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ચાર શખ્સ ઝડપાયા