તળાજા ખાતેના કેરાળા ગામેથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો

1684

તળાજા તાલુકાના કેરાળા ગામની સીમમાં આવેલ એક વાડીમાં દિપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગે મૃતદેહનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર સમીપ આવેલા અનેક ગામડાઓ તથા તળાજા, પાલીતાણા તાલુકાના ગામડાઓમાં અને શેત્રુંજી નદી તટ આસપાસ સિંહ, દિપડા સહિત અનેક રાની પશુઓ મુક્તપણે વિચરણ કરે છે. જેમાં સર્વાધિક વસ્તી દિપડાની છે. આ દિપડાઓ અવારવનાર માનવીઓની વસાહત સુધી આવી ચડે છે અને લોકો, દુધાળા પશુઓ સાથે દિપડાઓ વચ્ચે સંઘર્ષ પણ થાય છે. આવી લડાઈઓમાં લોકો તથા પશુઓને ગંભીર ઈજા સાથે મોત નિપજવાના બનાવો પણ બને છે ત્યારે અવારનવાર જિલ્લાના અંતરીયાળ એરિયાઓમાંથી દિપડાઓના શંકાસ્પદ હાલતે મૃતદેહો પણ મળી આવે છે. આવા જ એક બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા વન વિભાગને એવા પ્રકારની હકિકત મળી હતી કે તળાજા તાલુકાના કેરાળા ગામની સીમમાં આવેલ બાજરીના વણમાં દિપડાનો મૃતદેહ પડ્યો છે. જે વિગત આધારે અધિકારીગણએ સ્થળ તપાસ કરતા નર દિપડાનો શંકાસ્પદ હાલતે મૃતદેહ મળી આવ્યો હતો જેનો કબ્જો લઈ પી.એમ. અર્થે મોકલવામાં આવ્યો હતો. આ દિપડાનું મોત કઈ રીતે થયું તે પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. હાલ વન વિભાગ દ્વારા વાડી માલિકના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleઆજે ગોહિલવાડ ગુરૂભક્તિમાં લીન બનશે
Next articleઆજથી બે દિવસ સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ દેખાશે