દેરાણીના ફુલ જેવા બાળકને મોતને ઘાટ ઉતારવામાં જેઠાણી વિરૂધ્ધ રાવ

1085

સમગ્ર શહેરમાં ચક્ચાર મચાવનાર ઘટના શહેરના કુંભારવાડા વિસ્તારમાં બનવા પામી છે. જેમાં માત્ર ૧૬ દિવસના બાળકને પાણીના ટાંકામાં નાખી હત્યા કરવામાં આવી છે. જે ગુનામાં બાળકની માતાએ તેની જેઠાણી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ આપતા સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી અને હર એક વ્યક્તિ આ ઘટના સાંભળી-વાંચીને વિચારતો થઈ ગયો છે કે એક સ્ત્રી પોતાની ઈર્ષા-અદેખાઈમાં કેટલી હદ સુધી જઈ શકે છે. જે કુંભારવાડા વિસ્તારની ઘટનાથી સાબીત થાય છે.

બનાવની મળતી વિગત મુજબ, શહેરના કુંભારવાડા કબ્રસ્તાન પાસે રહેતા અનિલભાઈ દેવેન્દ્રભાઈ ઉર્ફે દિનેશભાઈ પરમારના લગ્ન રવિનાબેન સાથે થયા તે સમયથી તેમની જેઠાણી લીલાબેન જયેશભાઈ પરમાર રવિનાબેનની ઈર્ષા-અદેખાઈ કરતી હતી અને અવારનવાર ઘરમાં ઝઘડા કરી પોતાનું મોટા પણું સાબીત કરતી હતી. જેમાં રવિનાબેનના ઘરે બાળકનો જન્મ થતા જેઠાણી લીલાબેન ઈર્ષાની આગમાં સળગતી હોય ગઈકાલે સવારના સમયે માત્ર ૧૬ દિવસનું બાળક ઘોડીયામાં સુતુ હતું ત્યારે બાળકને ઘરના પાણીના ટાંકામાં નાખી હત્યા કરી હોવાની બાળક યુવરાજની માતા રવિનાબેને બોરતળાવ પોલીસ મથકમાં તેની જેઠાણી લીલાબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને પરિવારજનોના નિવેદનો તેમજ હત્યા અંગેના પુરાવા મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Previous articleગિજુભાઈ કુમાર મંદિર ખાતે રસીકરણ કેમ્પ યોજાયો
Next articleદશામાના ઉત્સવનો પ્રારંભ