ભાવનગર-અમદાવાદ શોર્ટ માર્ગ રકતરંજીત સનેસ-ગણેશગઢ વચ્ચે કાર- ટેન્કરનો અકસ્માત

1360

ભાવનગર-અમદાવાદ ટૂંકા માર્ગ્‌ પર કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસમાતમાં બે નવ યુવાનોના ગંભીર ઈજાને લઈને ઘટના સ્થળે મોત નિપજયા હતાં જયારે ર યુવતી સહિત ૩ વ્યકિતઓને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.  સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના દેવગાણા તથા તળાજા તાલુકાના ઘાંટરવાળા ગામે રહેતા પ વ્યકિતઓ જેમાં અક્ષય વલ્લભભાઈ બારૈયા (ઉ.વ.રર, રે. દેવગાણા), રજની ભાનુશંકરભાઈ ભટ્ટ (ઉ.વ.ર૩ રે. ઘાટરવાળા),  કિરણબેન રજનીભાઈ જાની (ઉ.વ.ર૦, રે. રબારીકા) તથા હિરલબેન નરોત્તમભાઈ પંડયા (ઉ.વ.ર૦ રે. દેવગાણા) તથા અન્ય એક યુવાન આજે સવારે દેવગાણા ગામેથી મારૂતી સ્વીફટ કાર નં. જી.જે.૦૪ પીઆર ૪૧૮૬માં બેસી અમદાવાદ જવા રવાના થયેલ અમદાવાદ થઈ રહેલ તમામ લોકો તા. ૧ર-૮-ર૦૧૮ને રવિવારે કોઈ ખાતાકિય પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા આ યુવાનોની કાર ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર સનેસ અને ગણેશગઢ ગામ વચ્ચે આવેલ ખાડીના પ્રથમ પુલ પાસે પહોંચતા બરોડા તરફથી આવી રહેલ રાજસ્થાન પાસીંગનું ટેન્કર નં. આરજે ર૭ જીએ ૬પ૭૩ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઈ પુર્વક ચલાવી સ્વીફટ કાર સાથે અથડાવતા કાર રોડ સાઈડમાં પલ્ટી ખાઈ જવા પામી હતી અને આ અકસ્માતમાં પાંચેય વ્યકિતઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેમાં કાર ચલાવી રહેલ અક્ષય તથા રજનીને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નિપજયા હતાં. જયારે કિરણબેન તથા હિરલબેન અને અન્ય એક યુવાનને ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ જયા ઈજાગ્રસ્ત યુવાનની સ્થિતિ નાજુક બનતા તેને શહેરના એક ખ્યાતનામ ન્યુરોસર્જનની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયા તેની સ્થીતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર બનાવ અંગેની જાણ વેળાવદર ભાલ પોલીસ મથકને થતા પીએસઆઈ વાઘેલા, પો.કો. રાજેશ ચૌહાણ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ અંગે ટેકર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleજિલ્લા ભાજપના કાર્યાલયનું આજે રૂપાણીના હસ્તે ભૂમિપૂજન
Next articleઆજથી શ્રાવણ માસનો પ્રારંભ