શેત્રુંજી નદી કિનારે આવેલુ ભોળાનાથનું પ્રાકૃતિકધામ , ત્રિવેણી મહાદેવનું મંદિર

1307

ગોહિલવાડની ગંગા ગણાતી અને લોકમુખે શેતલગંગા તરીકે જાણીતી લોકમાતા શેત્રુંજી નદીના બન્ને કિનાર ઉપર સંખ્યાબંધ શિવાલયો ઉપરાંત પવિત્ર દેવી-દેવતાઓના સ્થાનકો આવેલા છે. નદીના બન્ને કિનારા પર વૃક્ષ આચ્છાદિત રમણિય સ્થળો  ઉપર આવેલા આવા સ્થાનકો નદીની શોભામાં અને પવિત્રતામાં  ઓર વધારો કરે છે.

આવેુ એક પુરાતની અને પાવન સ્થળ તળાજા તાલુકાના દાંત્ર ગામ નજકી શેત્રુંજી નદીના કિનારે ત્રિવેણી મહાદેવ મંદિરમાં વિશંભર ભોળાનાથ બિરાજે છે. નદીના કિનારાની એકદમ અડોઅડ આવેલા આ નૈસંગિક પરિસરમાં સ્વયંભૂ શિવલીંગ છે. પુરાતની અને પ્રાકૃતિક ધામ ગણાતું આ સ્થળ સિધ્ધક્ષેત્ર ગણાય છે. પુરાકદના શિવાલય તેમજ ઓરડા સહિતના ખુલ્લા પરિસરમાં આવેલા વૃક્ષરાજ વડ સમગ્ર સંકુલની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. શિવ ઉતપાસનાના પવિત્ર શ્રાવણમાસમા અહીં શ્રધ્ધાળુઓ વિશેષ કરીને પધારે છે.

સામેના કિનારા પર હુલકવડ તથા ટીમાણા ગામમાં પણ એક-એક શિવાલય બંધાયેલા છે. અહીં શેત્રુંજી નદીમાં ઉતાવળી નદી ભળે છે, તેથી આ સ્થાને ત્રિવેણી સંગમ થાય છે. આવા ત્રિવેણી સંગમ સ્થાને શિવમંદિરનું વિશેષ મહત્વ હોય દર્શનાર્થીઓ શ્રધ્ધાભેર અહીં આવે છે. શ્રાવણ માસમાં વિશેષ પૂજન-અર્ચન થાય છે. શ્રાવણ માસના અંતિમ દિને ભાદરવી અમાસના રોજ અહીં એક દિવસીય લોક મેળાનું સ્વયંભૂ આયોજન વર્ષોથી થાય છે. બાળ ગોપાલ તેમજ યુવાનો-યુવતિઓ અને શ્રધ્ધાળુઓ આમાં લાગ લે છે. મેળાઓના ઈતિહાસમાં ટૂંકા સમયના ગણાતો ત્રિવેણીના આ મેળા માટે એટલે જ કહેવાય છે કે, ત્રિવેણીનો તર મેળો બપોર થયા ત્યાં ઘર ભેળો…!!

Previous articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજભવન ખાતે રાજયપાલ દ્વારા સ્વાગત કરાયું
Next articleબરવાળાના કુંડળ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ