ડો.માલતીબેનનાં કાળુભા સ્થિત નિવાસે ચોકીદારની હત્યા, ચોરી

3689

ડો.માલતીબેન મહેતાનો પરિવાર હરિદ્વાર દર્શન ગયો ત્યારે ચોકીદારને બાંધી હત્યા કરી તસ્કરો ચોરી કરી ગયા : મસમોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે

ભાવનગરનાં જાણીતા ગાયનેક સ્પેશ્યાલીસ્ટ ડો.માલતીબેન મહેતાનાં પ્લોટ નં.૩૯/૪૦-સી આનંદમય કોલોની તખ્તેશ્વર પ્લોટ,કાળુભારોડ સ્થિત નિવાસસ્થાને ચોરીનાં ઈરાદે આવેલા તસ્કરોએ ચોકીદારને બાંધી દઈ હત્યા કરી ચોરી કરી નાસી છુટ્યાનો બનાવ બનતા સીટી ડીવાય.એસ.પી મનિષ ઠાકર સહિત મસમોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો  હતો અને બનાવ સ્થળે લોકોનાં ટોળે ટોળા આ લખાય છે ત્યારે રાત્રીનાં ૧૧.૧૦ મીનીટે ઉમટી પડ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે શહેરનાં જાણીતા તબીબ ડો. માલતીબેન મહેતા પરિવાર સાથે હરિદ્વાર યાત્રા ગત તા.૧૬ને શુક્રવારે અને તેમનાં મકાનનું ધ્યાન રાખવા આજે કાળીયાબીડ, સરદારનગર સ્કુલ પાસે રહેતા વિનુભાઈ ગોરધનભાઈ પરમાર ઉ.વ.૫૦ને સોંપીને ગયા હતા દરમ્યાન ઘરનું ધ્યાન રાખતા વિનુભાઈ આજે રાત્રીનાં આઠેક વાગ્યે ઘરે જમવા ન આવતા તેનાં પુત્રએ ફોન કર્યો હતો પરંતુ ફોન પણ બંધ આવતા વિનુભાઈનો પુત્ર ડો.માલતીબેનનાં ઘરે આવતા દરવાજો ખુલ્લો જોતા અંદર જોતા તેના પિતા વિનુભાઈ હાથપગ બાંધેલી હાલતમાં મૃત પડ્યા હતા અને કબાટ, તિજોરી સહિત વેર-વિખેર પડી હોવાનું જણાતા તુરંત જ પોલીસને જાણ કરાતા સીટી ડીવાયએસ.પી.મનિષ ઠાકર, એલ.સી.બી., એસ.ઓ.જી., એ.ડીવીઝન સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટનાં સ્થળે પહોચ્યો છે.

સીટીડીવાય એસ.પી. ઠાકર સહિતનો કાફલો અંદર તપાસ કરી રહ્યો છે. ત્યારે એક અઠવાડીયાથી ડો.માલતીબેનનાં ઘરે માત્ર ચોકીદાર જ હોય આ બનાવમાં કોઈ જાણભેદુનો હાથ હોવાનું પ્રાથમિક તપાસમાં ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે ઘરમાં ઘુસી ચોકીદારને બાંધી દઈ હત્યા કરી ચોરી થવાનો બનાવ ધોળા દિવસે બનતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાવા પામ્યો છે અને શહેર ભરમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ઘરમાં ચોરી કેટલાની થઈ છે તે અંગે ડો.માલતીબેનનો પરિવાર આવ્યા પછી જાણવા મળશે પરંતુ પોલીસે હાલ ગુનાનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleમોટી સફળતા : અનંતનાગમાં ૬ ત્રાસવાદી ઠાર