અકસ્માતોની વણજાર પાછળ જવાબદાર કોણ ?

1231

છેલ્લા ઘણા સમયથી એટલે કે દિવાળી પહેલા તથા પછીથી રોજે રોજ અકસ્માતોના બનાવો પ્રસિધ્ધ થઈ રહ્યા છે. અને હેડલાઈનો બની રહી છે. ત્યારે તંત્ર પોતાની જવાબદારીથી છટકી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. જિલ્લાનો સૌથી મોટો કહી શકાય તેવો અકસ્માત રંઘોળા ખાતે થયો હતો. આખે આખી જાનૈયાઓ ભરેલી ટ્રક પુલ પરથી ખાબકતા અનિડા ગામના ૪૦ થી વધુના આ ટ્રકમાં બેસેલા જાનૈયાઓના મોત નિપજયા હતાં. ત્યારે લગ્નગીતની જગ્યાએ મરશીયા ગવાયા હતાં. આમ નાના એવા અનિડામાં તમામ રાજકીય નેતાઓ  દ્વારા મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી ત્યારે સહાયનો પણ ધોધ  છુટયો હતો. પરંતુ અહીં નહીં અટકતા અકસ્માતોની વણઝાર યથાવત રહી હતી જિલ્લાભરમાં કાળચક્ર ફરી રહ્યું છે.

રોજેરોજના અકસ્માતોમાં કોઈ દિકરો- દિકરી ગુમાવી રહ્યા છે. તો કોઈ મા-બાપ કોઈ ભાઈ-બહેન, ઘણી, પીતાનો કોઈ ભાવી ભરથાર ગુમાવ્યાનો અહેસાસ વેદનાઓ સાથે પરિવાર કરી રહ્યો છે. સવારે કામ ધંધો, નોકરી કે પારીવાર્હાક સંબંધોમાં ગયેલા સ્વ્જન સાંજે પરત ફરશે કે નહીં તેવું કહેવું મુશ્કેલ છે. કારણ કે અકસ્માતોનો ભય એટલી હદે વધી ગયો છે. ચોકકસ કહેવુ મુશ્કેલ છે કે હું સાંજે – રાત્રે ઘરે પરત આવી જઈશ.

હમણા જ ચમારડી પાસે મીનીબસ નાળા નીચે ખાબકતા મોતના આંકડા વધતા દેખાયા છે. છતા તંત્ર દ્વારા  કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી પાસીંગ – પરમીટ ભંગ થતો હોવા છતા તંત્રની મીઠી નજર મળે આ બધુ ચાલી રહ્યું છે. સીટીંગ પેસેન્જર કરતા વધુ ક્ષમતામાં પેસેન્જરો ભરવામાં આવે છે. પ્રાઈવેટ વાહનો ભાડામાં ચાલી રહ્યા છે. ઓરીજનલ કાગળો તપાસવામાં આવે તો જ ખ્યાલ  આવે શું વિમો છે ? પાસીંગ છે ? પરમીટ છે ? લાઈસન્સ છે ? આવા ટ્રાફીક નિયમન, આરેટીઓના કાયદાઓ ઘણા જ છે છતા આટલી રહેમ દ્રષ્ટી પાછળનું કારણ શું? ઓવર લોડ વાહનો, કોર્મશિયલ વાહનોમાં પેસેન્જરો, ગેરકાયદે માલ વહન બસ સ્ટેન્ડ પાસેથી એટલે કે એસ.ટી. વિભાગના નાક નીચેથી જ પેસેન્જરોની અન્ય વાહનોના માલિકો ડ્રાઈવર દ્વારા તફડંચી છતા લોલમલોલ કયારેય કડક વાહન ચેકીંગ જોવા મળતું નથી ત્યારે નિર્દોષ વાહન ચાલકોને દંડ કરી પહોંચનો ટાર્ગેટ પુર્ણ કરી સંતોષ માનવામાં આવી રહ્યો છે. માછલીઓ પકડી, મગર મચ્છોને છુટો દોર આપી આ તંત્ર શું સાબિત કરવા માંગે છે.

આ અંગે એક નહીં પણ દસ વાહન ડ્રાઈવર સાથે વાત કરતા જણાવેલ કે ભાઈ અમારે રોડ પર વાહન ચલાવવા હપ્તાઓ દેવા પડે છે. અને હપ્તા ન આપીએ તો વાહન ડીટેઈન થાય છે. રોજી રોટી કમાવવા હપ્તાહો ચુકવીએ છીએ ભાડે ગાડી ચલાવું છું શેઠને ૪૦૦ રૂા. હિસાબ આપવો પડે છે. ૪૦૦ ચુકવ્યા બાદ વાહનમાં ડીઝલ નાખવુ હપ્તાઓની રકમ કાઢયા બાદ વધતી રકમ પરિવાર માટે લઈ જઈએ છીએ ત્યારે માંડ ૧૦૦ થી ર૦૦ વધે છે.

ત્યારે મુસાફરને પુછતા જણાવેલ કે અમારે જયા ઉતરવું હોય ત્યાં વાહન ઉભુ રહેતુ હોવાથી જ અમે પ્રાઈવેટમાં મુસાફરી કરીએ છીએ. પણ જો આ બાબતે તંત્ર જ સાબદુ થઈ કાર્યવાહી હાથ ધરે તો આ રોજબરોજના મુસાફરો માટે વાહન વ્ય્વસ્થા કરી આપવી જોઈએ અને પ્રાઈવેટ, કોર્મશીયલ વાહનોમાં મુસાફરોને મુસાફરી કરતા અટકાવવા કડક ઝુંબેશ હાથ ધરવી જોઈએ અન્યથા નિર્દોષ નાગરિકો રોજ-બરોજ મોતના મુખમાં ધકેલતા જશે ખાસતો અવ્યવસ્થાને કારણે જ આ બધુ ચાલી રહ્યું છે. આ બાબતે ગંભીર નોંધ લઈ આવા બિન કાયદેસર વાહનોમાં ભરાતા પેસેન્જરો બંધ થવા જોઈએ વાહન ડીટેઈન કરવુ જોઈએ ખુદ ગુજરાતના સીએમની હાજરીમાં ભાવનગર સમુહ લગ્ન યોજાયા હતા છતા જાન ભરેલા ટેમ્પા વાહનો લોકોને જોવા મળ્યો હતા. જિલ્લાભરમાં આવા વાહનો વટથી દોડી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર પણ લાચાર થઈ તમાશો જોઈ રહ્યું છે. સરકારના તમામ આદેશોને ધોળી પી ગયેલુ તંત્ર આળસ મરડી ઉભુ થાય તો ચોકકસ પ૦-૧૦૦ નહીં પણ રોજ પ વ્યક્તિના જીવન ચોકકસ બચાવી શકે, માલ ઢોર ભરેલા ગેરકાયદે વાહનો, ખાણ ખનીજ ભરેલા વાહનો, પેસેન્જર ભરેલા વાહનો, અન્ય સામાન ભરેલા હેવી વાહનોનો આંતક રોડ પર જોવા મળે છે. બેફામ દોડતી લકઝરી મીનિ લકઝરીએ ખુલ્લેઆમ બુમો પાડી પેસેન્જરો ઉઠાવે છતાં આખમીચામણા કઈક કહી જાય છે કે પછી કોઠે પડી ગયું છે. નિર્ભરતાનો અંત તાત્કાલિક જરૂરી છે. અન્યથા નિર્દોષ આ રાજકીય પક્ષોના ભોળા મતદારો કે પછી જનતા મોતના મુખમાં ધકેલાતી જશે અને પેપરમાં રોજ નવિનવિ હેડલાઈનો બનતી જશે.

Previous articleપછાત વર્ગ સમિતિના પ્રમુખ શંભુજી ઠાકોર અલંગ મુલાકાતે
Next articleરેજીમેન્ટની માંગ સાથે આહિર સમાજની રેલી, આવેદન અપાયું