ન્યૂઝીલેન્ડઃ મસ્જિદમાં ફાયરિંગ ચાલુ હતું અને પહોંચી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ, આ રીતે બચ્યા ખેલાડીઓ

647

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં મસ્જિદમાં ફાયરિંગ બાદ ખુબ જ દહેશતનો માહોલ છે. આ ફાયરિગમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે ઘણા બધા લોકો ઘાયલ થયા છે. જે મસ્જિદ પાસે ફાયરિંગની ઘટના ઘટી છે. ત્યાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ હાજર હતાં. જો કે ખેલાડીઓને ફાયરિંગ દરમિયાન કોઈ ઈજા થઈ નથી. બધા એકદમ સુરક્ષિત છે.

ન્યૂઝ એજન્સી એએફપી સાથ વાત કરતા બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના પ્રવક્તાએ કહ્યું કે બાંગ્લાદેશના કેટલાક ખેલાડીઓ જ્યારે બસમાંથી ઉતર્યા ત્યારે આ હુમલો થયો. હજુ તો તેઓ મસ્જિદમાં જવાની તૈયારીમાં જ હતાં. તેમણે એ પણ જણાવ્યું કે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાં નમાજ પઢવા માટે જઈ રહી હતી. કેટલાક ખેલાડીઓ મસ્જિદની અંદર પ્રવેશી ચૂક્યા હતાં. પરંતુ તેઓ સમયસર ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહ્યાં.

તેમણે જણાવ્યું કે ફાયરિંગની ઘટના થતા જ તમામ ખેલાડીઓને સુરક્ષિત રીતે મસ્જિદમાંથી બહાર કાઢવામાં આવ્યાં. તેમણે જણાવ્યું કે તમામ ખેલાડીઓ માનસિક રીતે પરેશાન છે, બધાને હોટલમાં જ રહેવાની સલાહ અપાઈ છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અધિકારીઓના સંપર્કમાં છે અને પરામર્શ બાદ જ આગળનો નિર્ણય લેવાશે.

આ ઘટનાને લઈને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના એક ખેલાડી મોહમ્મદ ઈસ્લામે ટિ્‌વટ કર્યું કે જ્યાં સક્રિય બંદૂકધારીઓ હાજર હતાં તે હેગલે પાર્કની એક મસ્જિદમાંથી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ બહાર નીકળી ગઈ. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના અન્ય એક  ખેલાડી તમીમ ઈકબાલે ટિ્‌વટ કર્યું કે અમારી આખી ટીમ સુરક્ષિત છે. આ એક ભયાનક અનુભવ છે. ઈકબાલે વધુમાં લખ્યું કે કૃપા કરીને અમને તમારી પ્રાર્થનાઓમાં રાખો.

ઘટના બાદ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનનું કહેવું છે કે દેશના ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે. વડાપ્રધાન જેસિન્ડાએ કહ્યું કે આ દિવસ ન્યૂઝીલેન્ડના ઈતિહાસનો કાળો દિવસ છે, તે હિંસાનો એક અભૂતપૂર્વ કાર્ય હતું. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પરંતુ મને તેના અંગે વધુ જાણકારી નથી.

અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સાથે ટેસ્ટ સિરીઝ રમવા માટે ત્યાં પહોંચી છે. બંને ટીમ વચ્ચે ૧૬ માર્ચના રોજ ટેસ્ટ મેચ રમાવવાની છે. જો કે ફાયરિંગના આ ઘટના બાદ હવે મેચ રદ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Previous articleIPL 2019: ચોથી વખત ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે મહેન્દ્રસિંહ ધોનીના ‘સુપરકિંગ્સ’
Next articleછબીલ પટેલને ભચાઉ કોર્ટમાં હાજર કરાયો, ૧૦ દિનના રિમાન્ડ મંજૂર