પંજાબ સામે હાર બાદ બોલ્યો અય્યરઃ મારી પાસે શબ્દો નથી, અમે ડરી ગયા હતા

590

જીતની નજીક પહોંચીને હારેલી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે, કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ તેની ટીમ ડરી ગઈ અને લક્ષ્યનું યોગ્ય અનુમાન લગાવવામાં નિષ્ફળ રહી હતી. આ કારણે ૧૪ રનથી પરાજય થયો હતો. જીત માટે ૧૬૭ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીના ૧૭મી ઓવરમાં ૩ વિકેટ પર ૧૪૪ રન હતા. સૈમ કરને હેટ્રિક ઝડપીને દિલ્હીને ૧૯.૨ ઓવરમાં ૧૫૨ રન પર ઓલઆઉટ કરી દીધું હતું. અય્યરે કહ્યું, મારી પાસે શબ્દ નથી. આ મહત્વનો મેચ હતો અને તેવામાં હારવું અમારા માટે સારૂ નથી. તેણે કહ્યું, આ નિરાશાજનક છે. જે રીતે અમે રમી રહ્યાં હતા, દરેક બોલ પર રનની જરૂર હતી, પરંતુ તે સ્થિતિ સામે અમે હારી ગયા. અમે ચતુરાઇપૂર્વક ન રમ્યા અને દરેક વિભાગમાં ઓગણીસ સાબિત થયા હતા. કેપ્ટને કહ્યું, અમે લક્ષ્યનું યોગ્ય અનુમાન ન લગાવી શક્યા અને ડરી ગયા. તેણે સતત બે વિકેટ ઝડપી હતી. ક્રિસ મોરિસ અને રિષભ પંત આઉટ થયા બાદ અમે મેચ હારી ગયા હતા. અમારા બેટ્‌સમેનોએ પણ કોઈ પહેલ ન કરી. આ પહેલા દિલ્હીએ કોલકત્તાને સુપર ઓવરમાં હરાવ્યું હતું. અય્યરે કહ્યું, મને ખ્યાલ આવતો નથી કે શું થઈ ગયું. ગત મેચમાં પણ આમ થયું હતું. અમારે કેટલાક પાસાંઓ પર મહેનત કરવી પડશે અને ભૂલમાંથી શીખવું પડશે.

Previous articleકબડ્ડી ખો ખો મલખમ માઇલસ્ટોન સાબિત થશે : રાજ્યવર્ધન રાઠોડ
Next articleવર્લ્ડકપ શરૂ થયાના બે સપ્તાહ બાદ પત્નીને ખેલાડી સાથે રહેવા મળશે