ભાવનગર મહાપાલિકાના દ્વારેથી

615

ઘરવેરામાં રિબેટ બાદ કરતા ૫૨ કરોડ ઉપરાંતની આવક થઇ

ભાવનગર મહાપાલિકામાં ઘરવેરા વિભાગમાં તા.૧લી એપ્રિલથી ૧૫ મે સુધીમાં ઘરવેરા કારપેટ એરીયાની રીબેટ બાદ કરતા કુલ આવક રૂા.૫૨ કરોડ ૭૬ લાખ થવા જાય છે. કમિશ્નર ગાંધીની સૂચના મુજબ ઘરવેરા વિભાગની વસુલાતની સઘન કામગીરી ચાલી રહી છે. તેમ સેવાસદન ખાતે પત્રકારો જોડે ટૂંકી વાતચીત કરતા ઘરવેરા સુપ્રિ.કે.એસ.ઝાડપડીયાએ આપી હતી. તેમણે ૧ લાખ ૨૭ હજાર, ૪૭૦ ખાતાના વેરા બાકી, કુલ ખાતેદારો બે લાખ ૩૩ હજાર ૬૨૬ જેવા થાય છે. ૧૦ રિબેટમાં ૯૭ હજાર લોકોએ લાભ લીધો ૫ ટકા લેખે ૮ હજાર ૭૦૯ લોકોએ વેરો ભર્યો ૪ કરોડ ૧૭ લાખની આવક થવામાં છે.

નગરસેવકો લોકોને દાખલાઓ આપતા ભડકે છે.. બોલો..!!

મહાપાલિકાના જુદા જુદા ૧૩ વોર્ડ વિસ્તારોમાંથી ચૂંટાયેલા બાવન સભ્યો પૈકી આંગણીના વેઢે ગણી શકાય તેટલા જ સેવકો અને ચેરમેનો આવતા હોય છે. અને સેવકો ચેરમેનો બેદરકારીની છાપ ધરાવે છે. તેમાં સેવાસદને આવતા સેવકો લોકોને નાના મોટા કામો માટે દાખલાઓ કાઢી દેતા ભડકે છે. અરજદારોને કહે છે કે તા.૨૩ પછી આવજો હજી આચાર સંહિત પૂરેપૂરી ઉઠી નથી તેવી વાત કહે છે.

શિવાજીસર્કલ વિસ્તારમાંથી ૨૨ જેટલા દબાણો દૂર કર્યા

ભાવનગર મહાપાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા આજે શિવાજી સર્કલ ૧૪ નાળા વચ્ચેની નડતરરૂપ ૧૧ કેબીનો ૮ લારીઓ અને ૩ કાઉન્ટરો ખસેડવામાં આવ્યા છે. એસ્ટેટ વિભાગના અધિકારી પંડિતની સૂચનાથી હજી વધુ લાકી કેબીનો કે જે લોકો અને વાહન વ્યવહારોને અડચણ રૂપ હશે તે ખસેડી નાખવા તંત્ર એલર્ટ બની રહ્યું છે.

મહાપાલિકા રાઇટ ટુ ઇન્ફોરમેશન તળે ૧૪૪ અરજીઓ : ૧૩૪નો નિકાલ

માહિતી આપવાનો ૨૦૦૫ના કાયદા અનુસાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન મહાપાલિકા વિભાગ દ્વારા લોકો દ્વારા વિવિધ માહિતી માંગતી ૧૪૪ અરજીઓ આવી ૧૩૪નો નિકાલ કર્યો. ૧૦ પેન્ડીંગ, ૨૩ અપિલો થવા પામી છે. આ વિભાગના અધિકારી અને ડે.કમિશ્નર એન.ડી.ગોવાણીના માર્ગદર્શન તળે માહિતી દેવાની સક્રિય કામગીરી ચાલી રહી છે. સેવાસદનમાં લોકો દ્વારા ૧૪૪ જેટલી જે અરજીઓ થઇ તેમાં ઘરવેરા, સોલીડવેસ્ટ, બાંધકામ, એસ્ટેટ,એવી અનેક વિધ લોક ફરિયાદોનો સમાવેશ થાય છે.

જમનાકુંડ ફિરદૌસ સોસાયટી લત્તામાં ત્રણ દિવસથી પાણી મળ્યું જ નથી

શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારોમાંથી પીવાના પાણીની ફરિયાદો સેવાસદને આવતી રહે છે. જેમાં જમનાકુંડ ફિરદૌસ સોસાયટી કે જ્યાં ૨૦૦ ઉપરાંત લોકોનો વસવાટ છે. ત્યાં વોટર વર્કસ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી પાણી ન આવતું હોવાની અને અનિયમિત પાણી બાબતે લોકોએ ખૂદ કમિશ્નર ગાંધીને લેખીત ફરિયાદ મોકલી છે. લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું સ્વચ્છ પાણી મળવા રજુઆત કરાય છે. આમ આ લત્તામાં પીવાના પાણીનો કાળો કકળાટ શરૂ છે.

લોકો સીધી કમિશ્નરને ફરિયાદો મોકલવા લાગ્યા

શહેરના લોકો હવે પોતાની લોક ફરિયાદો હવે સીધી કમિશ્નરને કરવા લાગ્યા છે. જેમાં સફાઇ, પાણી, રોડ, રસ્તા, પ્લાન નક્શા પાસ થવા વિગેરે ફરિયાદો મોટા પ્રમાણમાં કમિશ્નરને મળે છે. અને કમિશ્નર તંત્રને લોક ફરિયાદો ઝડપી નિકાલો કરતા વિભાગીય અધિકારીઓને કડક સૂચના આપી છે. હવે લોકો સેવાસદનમાં લોક પ્રતિનિધિઓ પાસે ઓછી ફરિયાદ કરે છે અને વધુ ફરિયાદ કમિશ્નરને મોકલે છે.

Previous articleજાફરાબાદ ખાતે વનવિભાગનાં રેસ્ક્યુ સેન્ટરનાં બાંધકામમાં ભ્રષ્ટાચારની રાવ
Next articleસિહોરમાં સીસીટીવી પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ