પીથલપુરના આમલા ગામેથી જુના રાજપરા ગામના યુવાનની લાશ મળી

1470

તળાજા તાલુકાના દાઠા પો.સ્ટે. હેઠળ આવતા પીથલપુર નજીકના આમળા ગામેથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા સરપંચ સહિત ગ્રામજનો દોડી ગયા હતાં. અને તુરંત દાઠા પો.સ્ટે. જાણ કરતા પોલીસ કાફલો દોડી આવેલ અને તપાસ કરતા લાશ જુના રાજપરા ગામના યુવાનની હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે જરૂરી કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડી હતી.

બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન હેઠળ આવતા પીથલપુર નજીકના આમળા ગામે યુવાનની દુર્ગધ આવતી લાશ પડી હોવાનું જણાતા તુરંત જ સરપંચ સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સરપંચે દાઠા પો.સ્ટે.માં જાણ કરતા દાઠા પી.એસ.આઈ. નિલેષભાઈ ગોહિલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી હતી.

આ અંગે પી.એસ.આઈ. ગોહિલનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે લાશની ઓળખ તેના ખિસ્સામાં રહેલા મોબાઈલ પરથી થવા પામેલ તે જુના રાજપરા ગામના ભીખાભાઈ છગનભાઈ ઢાપા નામનો યુવાન હોવાનું બહાર આવેલ. અને તેના વાલીને જાણ કરતા તેઓ આમળા ગામે દોડી આવ્યા હતાં. લાશની પાસેથી મોનો કોટો નામની દવાની બોટલ મળી આવી હતી. આથી તેણે તે દવા પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મૃતક યુવાનના વાલીઓના જણાવ્યા પ્રમાણે ભીખાભાઈ મગજની બિમારીથી પીડાતા હતા અને બે દિવસથી ગુમ થયા હતા આથી બે દિવસ પુર્વે તેમણે આમળા ગામે આવીને દવા પી આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. બનાવ સંદર્ભે દાઠા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleમ્યુ. કચેરીએ મહિલાઓનો પાણી પ્રશ્ને દેકારો
Next articleવર્લ્ડ કપની મેચો એક અબજ કરતા વધારે ચાહક નિહાળશે