મુખ્યમંત્રી રૂપાણીનાં હસ્તે આજે ભાવનગરથી રાજ્યનાં ૨૧ બસ સ્ટેશનનાં લોકાર્પણ કરાશે

722

પ્રજાજનોને ગુડ ગર્વનન્સની સુવિધાઓ-સેવાઓ આપતી આ જનહિતકારી સરકાર દ્વારા ગત વર્ષે જ મુસાફરોની સરળતા માટે સેવામાં મૂકાયેલી પ૦ વોલ્વો બસ સર્વિસનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી એટલે કે ૨૨ જૂનથી ભાવનગરથી વધુ ૨૧ સુવિધાયુક્ત બસ સ્ટેશનને પ્રજા માટે ખુલ્લા મુકવામાં આવશે. આ લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે થશે. રૂ.૩૨.૦૯ કરોડનાં ખર્ચે બાંધવામાં આવનારા ભાવનગર, ભરૂચ અને સુરેન્દ્રનગર બસ સ્ટેશન તથા ભુજ-અમરેલી સ્ટાફ કોલોનીનું પણ ખાતમુહૂર્ત ઈ-તક્તિ મારફત કરાશે. આ કાર્યક્રમમાં રૂપિયા બાવન કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલા અદ્યતન સુવિધાયુક્ત ૨૧ નવીન બસ સ્ટેશનનાં લોકાર્પણ પણ આ સ્થળેથી જ થશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા પ્રજા-મુસાફરોની સરળતા માટે સ્ટેશનો અને બસ સુવિધાઓ સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મુખ્યમંત્રીએ પ્રજાની સેવામાં મૂકાયેલી પ૦ વૉલ્વો બસ સર્વિસનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્યના મહત્વપૂર્ણ યાત્રાધામો અને શહેરોને વોલ્વો સેવાથી જોડવા પણ તૈયારીઓ ચાલી રહી છે. ગરીબ પરિવારોમાં લગ્ન જેવા ખૂશીના પ્રસંગોએ રૂ. ૧ર૦૦થી ૩૦૦૦ સુધીના નજીવા રાહત દરે એસ.ટી. બસ સેવાઓ પૂરી પાડવાનો સંવેદનશીલ નિર્ણય પણ લીધો હતો.  ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી. નિગમ સંચાલિત રાજ્ય પરિવહનની બસોનો ૨૫ લાખથી વધુ મુસાફરો રોજબરોજ લાભ લે છે. રાજયના તમામ એસ.ટી. ડેપોને તબક્કાવાર અપગ્રેડ કરીને મુસાફરો માટે આધુનિક સુવિધાવાળા બનાવ્યા છે અને રાજયના ૯૯ ટકા ગ્રામ્ય વિસ્તારને એસ.ટી. સુવિધાથી આવરી લેવામાં આવી છે.

આવતીકાલે ૨૨ જૂન શનિવારે ભાવનગરના મહુવા રોડ જવાહર મેદાન ખાતે સવારે ૧૦ વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજ્યના વિવિધ ૨૧ બસ સ્ટેશનના લોકાર્પણ, ત્રણ બસ સ્ટેશન અને બે સ્ટાફ કોલોનીનાં ખાતમુહૂર્ત, નવીન મીડી બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જરનગરી બસો તથા ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઈલ (્‌ઈછસ્) વાનનો લોકાર્પણ સમારોહ યોજાશે. સુરત જિલ્લાના માંડવી, બારડોલી(હાઈવે), કડોદરા, ખેડા જિલ્લાના સોજીત્રા, ઠાસરા, ડાકોર, મહિસાગર જિલ્લાના બાલાસિનોર, આણંદ, અમદાવાદના વિરમગામ, મોરબી(જુનુ), સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, ભાવનગર જિલ્લાના ગઢડા, મહેસાણા, જામનગર જિલ્લાના જામજોધપુર, અમરેલી જિલ્લાના દામનગર, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, પંચમહાલ જિલ્લાના શહેરા અને વેજલપુર તથા સાબરકાંઠા જિલ્લાના માલપુર ખાતે મળીને રૂપિયા બાવન કરોડનાં ખર્ચે તૈયાર થયેલા કુલ ૨૧ નવીન બસ સ્ટેશનોના લોકાર્પણ આ સમારોહમાં કરવામાં આવનાર છે.

વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ, રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી, વિભાવરીબેન દવે, ભાવનગર સંસદ સભ્ય ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ સુનયના તોમર, વાહન વ્યવહાર કમિશનર સોનલ મિશ્રા, ભાવનગર મેયર મનહરભાઈ મોરીની વિશેષ ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાશે.

Previous articleબરવાળાના ટીંબલા ગામની શાળામાં ધો.૬ થી ૮ બંધ કરાતા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું
Next articleભડિયાદ પ્રા.આ.કેન્દ્ર ખાતે તમાકુ મુક્ત સમાજ અંગે શિબિર યોજાઇ