રાણપુરને પાણી પુરૂ પાડતો સુખભાદર ડેમ ત્રીજીવાર ઓવરફ્લો,ડેમના ૭ દરવાજા ૨ ફુટ ખોલવામાં આવ્યા

575

બોટાદ જીલ્લાનો સુખભાદર ડેમ ઓવર ફ્લો થતા ડેમના ૭ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા હતા. રાણપુર ને પીવાનું પાણી પુરૂ પાડતો સુખભાદર ડેમ(ભડલા ડેમ)ના ઉપરવાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદ ને કારણે ચાલુ સીઝનમાં ત્રીજીવાર ડેમ ઓવર ફ્લો થયો હતો.ઉપરથી પાણીની આવક વધુ પ્રમાણમાં હોવા ને કારણે સોમવારે સુખભાદર ડેમ(ભડલા ડેમ)ના ૭ દરવાજા બે ફુટ સુધી ખોલવામાં આવતા નિચાણવાળા અને નદી કાંઠાના ગામો રાણપુર,  કનારા,  નાગનેશ, દેવળીયા, સાંગણપુર, અલમપુર જેવા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા.સુખભાદર ડેમ(ભડલા ડેમ)ના સોમવારે સવારે ૭ દરવાજા ૨ ફુટ સુધી ખોલવામાં આવતા રાણપુર, દેવળીયા, નાગનેશની ભાદર નદી માં ઘોડાપુર આવ્યુ હતુ.જ્યારે દેવળીયાની ભાદર નદી માં ઘોડાપુર આવતા દેવળીયા ગામ સંપર્ક વિહોણુ થયુ હતુ.કારણ કે દેવળીયા ગામે જવાનો એકમાત્ર રસ્તો ભાદર નદી હોવાથી ગામલોકો મુશ્કેલીમાં મુકાયા હતા.જ્યારે આ સુખભાદર ડેમ છેલ્લે ૨૦૧૭ માં ઓવર ફ્લો થયો હતો.ગત ઉનાળા દરમ્યાન રાણપુરના લોકોને પીવાનું પાણી ૧૫ દિવસે આપવામાં આવતુ હતુ.જ્યારે હાલ ભાદર નદી બે કાંઠે વહેતી હોવા છતા પણ અત્યારે ભર ચોમાસે રાણપુરના લોકોને ૬ દિવસે પીવાનું પાણી આપવામાં આવી રહ્યુ છે. હવે રાણપુર શહેરના લોકોને ક્યારથી બે દિવસે પીવા નું પાણી મળે છે તે જોવુ રહ્યુ.

ઉપરથી પાણીની આવક હોવાથી ૭ દરવાજા ૨ ફુટ ખોલવામાં આવ્યા છે : એન.એ.સોલંકી,સિંચાઈ અધિકારી

આ બાબતે આસિસ્ટર સિંચાઈ અધિકારી એન.એ.સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ હોવાથી સુખભાદર ડેમ ઓવર ફ્લો થયો છે અને ઉપરથી પાણીની આવક હોવાથી ડેમના ૭ દરવાજા ૨ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે અને હાલ ઉપરથી પાણીની આવક ચાલુ છે..

Previous articleબોટાદ ખાતે આયુષ્માન ભારત સપ્તાહની ઉજવણી સમારોહ યોજાયો
Next articleમનપા દ્વારા સ્વચ્છતા અંગે શહેરના તમામ વોર્ડમાં પ્રભાત ફેરી