ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વિશ્વ વિકલાંગ દિવસની ભવ્ય ઉજવણી કરાશે

399

૩જી ડીસેમ્બરનાં રોજ પ્રતિ વર્ષે સમગ્ર વિશ્વમાં “વિશ્વ વિકલાંગ દિવસની” ઉજવણી કરવામાં આવતી હોય છે. કોવીડ-૧૯ કોરોના વાઈરસનાં સંક્રમણને ધ્યાને લઇ આ વર્ષે વીશ્વ વિકલાંગ દિવસની ઉજવણી અનોખી રીતે થશે. જેમાં ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને સમાજ સમક્ષ મુકવા “નવી દૃષ્ટિનું તેજ” વિશિષ્ટ પ્રદર્શન દર્શાવવામાં આવશે. જેમાં નેત્રહીનોનું શિક્ષણ, ટેકનોલોજીનાં સાધનો, કમ્પ્યુટર અને લેપટોપ પર સ્ક્રીન રીડર સોફ્ટવેરની મદદથી કામ કરતા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ તેમજ સ્પર્શગમ્ય ત્રિ-પરિમાણીય મોડલની મદદથી વિજ્ઞાનનાં પ્રયોગો, વિવિધ કલાકૃતિઓ, ઇલેક્ટ્રિક મોટર રિવાઈન્ડીંગ, રસોઈની રંગત અંતર્ગત હોમ સાયન્સ, આઉટડોર અને ઇન્ડોર રમતો, સંગીત અને વિવિધ ગૃહ ઉદ્યોગોની બનાવટો જોવા મળશે. આ સમગ્ર પ્રદર્શન Youtube & Facebook:- Labhuabhai T. Sonani પર લાઈવ દર્શાવવામાં આવશે.
આ પ્રસંગે લગભગ સવા કરોડનાં ખર્ચે સંસ્થાનું તૈયાર થયેલ નવનિર્મિત ભવન અને તેના વિભાગોનું લોકાર્પણ ભાવનગર સ્ટેટ રાજવી પરિવારનાં યુવરાજ સાહેબ જયવિરરાજસિંહજી ગોહિલનાં વરદ હસ્તે કરવામાં આવશે. તેમાં પ્રત્યેકને જોડાવવા સંસ્થાની એક અખબારી યાદી દ્વારા અનુરોધ કરાયો છે.

Previous articleશિયાળો જામતા શહેરમાં શિંગોડા, આમળા અને જમરૂખના વેચાણમાં જબ્બર ઉછાળો
Next articleરાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી પરંતુ શહેરમાં કચરાનાં ઢગલા યથાવત..!