ઘાંઘળી નજીક કાર – છકડો રિક્ષાનો અકસ્માતઃ એકનું મોત

676

ઘાંઘળી વલ્લભીપુર રોડ પર આજે સવારે ભાવનગર તરફ આવી રહેલી કાર અને ડુંગળી ભરેલી છકડો રિક્ષાનો ખારી નાળા પાસે ધડાકાભેર અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે છને ઇજા થતાં ભાવનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ બનતા આજુબાજુના ગામના ટોળા એકઠા થયા હતા અને હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભાવનગરના ટોપ થ્રી સીનેમા પાસે રહેતા અને લૌકિક કામે પચ્છેગામ જઇ પરત ફરતાં પરિવારની મારૂતિ ફ્રન્ટી કાર નં. જી.જે ૦૪ ડી. ૪૯૪૬ને ઘાંઘળી વલ્લભીપુર રોડ પર ખારી નાળા પાસે સામેથી આવી રહેલા ડુંગળી ભરેલા છકડો રિક્ષા નંબર જી.જે.૦૪ વી. ૩૧૮૩ સાથે ધડાકાભેર અકસ્માત થતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો જ્યારે છકડો રિક્ષા નાળામાં ખાબકી હતી. અકસ્માતના આ બનાવમાં નિકાભાઇ રમેશભાઇ ચૌહાણ ઉ.વ.૨૩ રહે. સિદસર, અશોકભાઇ નરભેરામ જાનિ, રહે.ઋષિરાજનગર, પ્રવિણભાઇ વાલજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ રહે. આઝાદનગર, સ્મિત ઘનશ્યામભાઇ પરમાર ઉ.વ.૨૩, રહે. કાળિયાબિડ, આસીફ ગુલઝારભાઇ ડેરૈયા ઉ.વ.૧૮, રહે. પાલિતાણા, સાહિલ ગુલઝારભાઇ ડેરૈયા ઉવ.૧૯, રહે. પાલિતાણા, સહિત સાત વ્યક્તિઓની ઇજા થતાં તેઓને ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સ્મિત ઘનશ્યામભાઇ પરમારનું મોત નિપજ્યું હતું.અકસ્માતનો આ બનાવ બનતા ઘાંઘળી સહિત ગામના લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ બનાવની જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Previous articleશિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે જિલ્લાના ૬૬ શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમો એનાયત કરાયા
Next articleમકરસંક્રાંતિના પર્વને લઈ છેલ્લા રવિવારે લોકોની બજારમાં ખરીદીની ભીડ