રોહિત, પંત અને બુમરાહ વનડે સિરીઝમાં નહીં રમે

206

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આ સમયે ભારતના પ્રવાસે છે. ટેસ્ટ અને ટી૨૦ સિરીઝ બાદ બન્ને ટીમો વચ્ચે વનડે સિરીઝ રમાવાની છે. ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે ૨-૧થી લીડ બનાવી છે. ચોથી અને અંતિમ ટેસ્ટ ૪ માર્ચથી અમદાવાદમાં રમાશે. ત્યારબાદ પાંચ મેચોની ટી૨૦ સિરીઝનું આયોજન થવાનું છે. સમાચાર છે કે ત્યારબાદ રમાનારી ત્રણ વનડે મેચોની સિરીઝમાં ઘણા ભારતીય ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. તેમાં રમનાર વિકેટકીપર રિષભ પંત, વોશિંગટન સુંદર સહિત આઠ ખેલાડીઓને ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા આરામ આપવાની શક્યતા છે.
શનિવાર ૨૭ ફેબ્રુઆરીએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ભારતીય ક્રિકેટ બોર્ડને રિલીઝ કરવાની વિનંતી કરી હતી. બોર્ડે તેને રિલીઝ કરતા અંતિમ ટેસ્ટમાંથી બહાર રાખ્યો છે. તો બુમરાહને ટી૨૦ સિરીઝમાં પણ આરામ આપવામાં આવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ઓપનર રોહિત શર્મા, વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંત અને સ્પિનર વોશિંગટન સુંદરને વનડે સિરીઝ માટે આરામ આપવામાં આવી શકે છે. ત્રણ મેચોની સિરીઝનું આયોજન પુણેમાં થવાનું છે. સિરીઝના મુકાબલા ૨૩, ૨૬ અને ૨૮ માર્ચે રમાશે. ભારતીય ટીમના જે ખેલાડી લાંબા સમયથી બાયો બબલમાં છે તેને આરામ આપવાને લઈને ટીમ મેનેજમેન્ટ કામ કરી રહ્યું છે. બુમરાહ અને મોહમ્મદ સિરાજને ટી૨૦ સિરીઝમાંથી બહાર રાખવાનો નિર્ણયઆ નીતિનો ભાગ છે. ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ ભારતમાં ટી૨૦ ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન થવાનું છે.
ભારતીય ટીમે ત્યારબાદ જૂનમાં વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની સાથે ઈંગ્લેન્ડના લોર્ડસ પર રમવાનું છે. આ વર્ષે ભારતમાં ટી૨૦ વિશ્વકપનું આયોજન પણ થવાનું છે.

Previous articleપ્રોડ્યુસર તરીકે આલિયા ભટ્ટે પહેલી ફિલ્મની જાહેરાત કરી
Next articleજૂની અદાવતે ૧૦ શખ્સોએ તલવાર સહિતના હથિયારો વડે પ્રૌઢની કરી હત્યા