વિરાટ કોહલી ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૩,૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો

375

(જી.એન.એસ)અમદાવાદ,તા.૧૫
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેનડ્‌ વિરુદ્ધ સિરીઝની બીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. કોહલીએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અણનમ ૭૩ રન બનાવ્યા હતા. તેણે છગ્ગો ફટકારી ભારતને શાનદાર જીત અપાવી હતી. આ સાથે તે ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૩૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ બેટ્‌સમેન પણ બની ગયો છે. ભારતે આ મુકાબલામાં સાત વિકેટે જીત હાસિલ કરી જેમાં કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ ૭૩ રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે ૪૯ બોલની પોતાની ઈનિંગમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. સિરીઝની શરૂઆતના મુકાબલા પહેલા કોહલીના નામે ટી૨૦ ક્રિકેટમાં ૨૯૨૮ રન હતા. પ્રથમ મેચમાં તે ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. આ મેચ પહેલા તેણે ૮૬ મેચોની ૮૦ ઈનિંગમાં ૪૯.૬૨ની એવરેજથી રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ ૧૩૮.૧૧ની હતી. કોહલી છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં ચાલી રહ્યો નથી. પરંતુ આ મુકાબલામાં તે પૂરા રંગમાં જોવા મળ્યા હતા. કોહલીએ ક્રિસ જોર્ડન તરફથી ફેંકવામાં આવેલી ઈનિંગની ૧૮મી ઓવરમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારી ભારતને જીત અપાવી સાથે પોતાના ૩૦૦૦ ટી૨૦ આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા.
આ સાથે કોહલી ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વખત ૫૦+ સ્કોર બનાવનાર બેટ્‌સમેન પણ બની ગયો છે. તેણે રોહિત શર્માને પાછળ છોડ્યો છે. શર્માના નામે ૨૫૫૦+ સ્કોર છે, જેમાં ૨૧ અડધી સદી અને ૪ સદી છે. તો કોહલીના નામે આંતરરાષ્ટ્રીય ટી૨૦માં ૨૬ અડધી સદી છે, તેણે એક પણ સદી ફટકારી નથી.

Previous articleજેનેલિયા ડિસૂઝાએ દોસ્તોની સાથે પાર્ટી કરી
Next articleદેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળ, કરોડોના ટ્રાંજેક્શન અટવાયા