મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને કોરોનાની સારવાર તથા સાધન સુવિધા માટે સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ૨૦ લાખનો ચેક અર્પણ

547

કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને તેની ઝપેટમાં લીધું છે તે વખતે રાજ્ય સરકારની સાથે-સાથે સમાજસેવી સંસ્થાઓ અને સામાજિક દાયિત્વ અદા કરતી કંપનીઓ પણ સરકાર સાથે ’હમ સાથ-સાથ હૈ’ ની ભાવનાથી આ લડાઈમાં સામેલ થઈ છે.
સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડના પ્રદિપસિંહ ગોહિલ, અમિતભાઇ મહેતા, સંજયભાઈ વડોદરિયા, રાજીવભાઈ પંડ્યાએ કંપની વતીથી કોરોનાની સારવાર માટેના ઉપકરણો ખરીદવા માટે રૂ. ૨૦ લાખનો ચેક જિલ્લા મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાને આજે કલેકટર કચેરી ખાતે રૂબરૂ સુપ્રત કર્યો હતો. તેઓએ આ અંગે વધુમાં ઉમેર્યુ કે, કોરોનાની આ મહામારીમાંથી ઉગરવા માટે અનેક પ્રયાસો સંસ્થાઓ, કંપનીઓ તથા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યાં છે. ત્યારે અમારી કંપની દ્વારા પણ સામાજિક દાયિત્વના ભાગરૂપે આજે રૂ. ૨૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જૂની લેપ્રેસી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેનું સેન્ટર ખોલવામાં આવેલ છે. તેમાં કોરોનાના દર્દીઓની પૂરતી સારવાર કરી શકાય તથા તેમને પુરતી સગવડ મળે તે માટે અમુક સાધનો તથા ઓક્સિજન ટેન્ક તથા અન્ય ઉપકરણોની જરૂરિયાત હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં રિનોવેશનની જરૂરિયાત હતી તેવી જાણ થતાં કોરોનાના આ મુશ્કેલ સમયમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ, ભાવનગર દ્વારા આજે ભાવનગર કલેકટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરને રૂ. ૨૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કંપનીના ડો. અમિતભાઈ મહેતા, ડો. સંજયભાઈ વડોદરિયા, રાજેન્દ્રસિંહ ઝાલા, રાજીવભાઈ પંડ્યા, પરેશભાઈ પાઠક ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે ભાવનગર,કલેકટરને રૂ. ૨૦ લાખનો ચેક સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ, ભાવનગર દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરે આ અવસરે જણાવ્યું કે, કોરોનાની લડાઈમાં રાજ્ય સરકાર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ અને કંપનીઓ તરફથી સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક પ્રકારની મદદ મળી છે.
ઓક્સિજન કોન્સન્ટ્રેટર, કોરોનાની સારવાર માટેના સાધનો, અન્ય ઉપકરણો વગેરે ખરીદવા માટે સમયે-સમયે અનેક પ્રકારની મદદ સમાજસેવી સંસ્થાઓ અને કંપનીઓ તરફથી મળી છે. જેનાથી કોરોનાના દર્દીઓની વધુ સારી સેવા કરી શકાઈ છે અને તેના દ્વારા ભાવનગરમાં કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા માટે ઘણી મદદ મળી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Previous articleભૂતપૂર્વ દિગ્ગજ બોક્સર ડિંગ્કો સિંહનું નિધન
Next articleભાવનગર રેલ્વે મંડળ દ્વારા ‘આંતરરાષ્ટ્રિય ફાટક જાગરૂકતા દિન’નિમિત્તે જાગૃતિ અભિયાન યોજાયું