અંધ ઉદ્યોગશાળા, વિદ્યાનગર ખાતે ટી.બી.ના રોગમાંથી બહાર આવેલા દર્દીઓએ “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી યોગ કરીને કરી

471

ભાવનગરની સર ટી. હોસ્પિટલ અને જિલ્લા ક્ષય કેન્દ્ર ભાવનગરના સહયોગથી ટી.બી. (ક્ષય- ટ્યુબરક્યુલોસિસ) થી ૧૬ પીડિત દર્દીઓ કે જેઓ સારવાર મેળવીને સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે. તેવાં ટી.બી.ના દર્દીઓએ યોગાની વિવિધ મુદ્વાઓનો યોગાભ્યાસ કરીને પોતાની શ્વાસોશ્વાસની ક્ષમતાને વધારવાં સાથે નાગરિક સમાજને પણ યોગ કરવાનો સંદેશો આપ્યો હતો. “યોગા ફોર બેટરમેન્ટ ઓફ પોસ્ટ ટી.બી. પેશન્ટ” થીમ આધારિત રાજ્યની છ મેડિકલ કોલેજમાં પલ્મોનરી ટી.બી.ની સારવાર પૂરી કરેલ દર્દીઓને યોગ કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સર ટી. હોસ્પિટલમાં ટી.બી.ની સારવાર મેળવેલ દર્દીઓએ ભાવનગરના વિદ્યાનગર ખાતે આવેલ અંધ ઉદ્યોગશાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીને સાર્થક કરતાં આ યોગ સત્રમાં યોગનું નિદર્શન કર્યું હતું.
જિલ્લા ક્ષય કેન્દ્ર, ભાવનગરના અધિકારી ડો. પ્રવિણ રહેવરે આ અંગે જણાવ્યું કે, યોગથી આ દર્દીઓની ફેફસાની ક્ષમતા વધવાં સાથે ઓક્સીજનનું સ્તર સુધરે છે.જેમાંથી અત્યારે એક અઠવાડિયા માટે યોગ કરાવીને તેમના પલ્સ, ઓક્સીજન, હીમોગ્લોબીન વગેરેના રીડીંગ લેવામાં આવ્યાં છે. કાલથી તેઓ તેમના ઘરે અમારા માર્ગદર્શન હેઠળ ૧૫ દિવસ સુધી યોગ કરશે. અને આમ, કુલ-૨૧ દિવસ બાદ તેમની સંપૂર્ણ તપાસ કરીને યોગ દ્રારા કેટલો ફેરફાર આવ્યો તે જોવામાં આવશે અને તેને આધારે વ્યાપક પ્રમાણમાં તેના ઉપયોગ માટેની સુયોગ્ય પધ્ધતિ દાખલ કરવામાં આવશે. ટી.બી. એ મુખ્યત્વે ફેફસાનેં અસર કરતો રોગ છે અને ટી.બી.ના દર્દીઓમાં ફેફસામાં શ્વાચ્છોશ્વાસની ક્રિયામાં ખાસ તકલીફ પડતી જોવા મળે છે. જેથી દર્દીની સારવાર પૂર્ણ થાય ત્યારબાદ ફેફસાની કસરત નિયમિત રીતે કરતી રહેવી જરૂરી બની રહે છે. યોગ કરવાથી ફેફસાની કાર્યશક્તિમાં વધારે થાય છે અને દર્દીની જીવન કાર્યદક્ષતામાં સુધારો જોવા મળે છે. ટીબીના દર્દીઓને યોગ માટે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા એક બેચ બનાવવામાં આવશે. જેમાં પલ્મોનરી ટીબીના ૧૦ થી ૨૦ દર્દીઓનો સમાવેશ કરવામાં આવશે. દર્દી ૧૮ વર્ષથી ઉપરના પસંદ કરવામાં આવશે. ટીબીના સાજા થયેલ દર્દીઓને આ યોગ કાર્યક્રમમાં જોડવામાં આવશે. આ યોગ કાર્યક્રમમાં સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જયેશ બ્રમ્હભટ્ટ, અંધ ઉદ્યોગ કેન્દ્રના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ૨૦ યોગ કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયાં
Next articleશહેરઅને જિલ્લામાં ભીમ અગિયારસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી